
Bharuch Jama Masjid News ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જોડાશે
Bharuch Jama Masjid News ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. જૈન સંગઠનોનો દાવો છે કે અંદાજે 700 વર્ષથી બંધ આ ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલો આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના વિરોધ અને સમર્થનમાં આગામી 15 જૂનના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ભરૂચમાં એકઠા થવાના છે.
Bharuch Jama Masjid News ભોંયરું ખોલવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ વકર્યો
તાજેતરમાં પુરાતત્વ વિભાગ દ્વારા સફાઈ કામગીરી માટે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયતળિયાનો દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વળાંક આવ્યો છે. જૈન અગ્રણીઓના દાવા મુજબ, આ ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથ અને અન્ય દેવી-દેવતાઓની પ્રાચીન પ્રતિમાઓ તથા અવશેષો મળી આવ્યા છે.
બીજી તરફ, મસ્જિદના મૌલાનાએ જણાવ્યું છે કે, આ સરકારી ગેજેટ અને વકફ બોર્ડના રેકોર્ડ પર નોંધાયેલી સત્તાવાર મસ્જિદ છે. ટ્રસ્ટીઓની જાણ બહાર ભોંયરું ખોલીને ખોટો વિવાદ ઊભો કરાતો હોવાથી મુસ્લિમ પક્ષે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
Bharuch Jama Masjid News સ્થાપત્ય શૈલી અને ઇતિહાસ અંગે સંતોના મોટા દાવા
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા અને શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામી સહિતના સંતોએ આ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
મૂર્તિઓ અને કોતરણી: નિરીક્ષણ દરમિયાન મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ભગવાન મહાવીર સ્વામી અને નીચે ચક્રધર સ્વામીની પ્રતિમાઓ હોવાનું દ્રશ્યમાન થયું હોવાનો દાવો કરાયો છે. મસ્જિદના પિલ્લરો અને દીવાલો પરની કલાત્મક કોતરણી પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાનું કહેવાય છે.
Bharuch Jama Masjid News શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ ‘સમરી વિહાર’નું નિર્માણ કરાવ્યું હતું
શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ પૂર્વભવની સ્મૃતિમાં આ ભવ્ય ‘સમરી વિહાર’નું નિર્માણ કરાવ્યું હતું. આ પરિસરમાં એક ઐતિહાસિક પાતાળ કૂવો પણ છે. જો તેની તટસ્થ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, તો આ સ્થળ જૈન મંદિર હોવાના અત્યંત ચોંકાવનારા પુરાવાઓ બહાર આવી શકે તેમ છે.
Bharuch Jama Masjid News પુરાતત્વ વિભાગ અને સ્થાનિક તંત્રની ભૂમિકા સામે સવાલો
આ ઐતિહાસિક સ્મારક પુરાતત્વ વિભાગ અંતર્ગત સુરક્ષિત હોવા છતાં, તંત્રની ઘોર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો સંતો દ્વારા કરાયા છે. પવિત્ર સ્થાપત્યની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યો છે અને ત્યાં ગેરકાયદેસર રીતે વજુખાનાનું નિર્માણ કરાયું હતું, જેને તાજેતરમાં દૂર કરાયું છે. છેલ્લા 700 વર્ષથી ખુલ્લા એક દરવાજાને ત્રણ લાકડાના પાટિયા મારીને તાળાબંધી કરી દેવાતા વિવાદ વધુ વકર્યો છે.
પુરાતત્વ વિભાગના સ્થાનિક અધિકારી રાહુલ પરમાર સામે પણ સવાલો ઉઠ્યા છે કે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને આ સંકુલમાં વીજ મીટર કોના નામે લેવાયું? સાઉન્ડ સિસ્ટમની મંજૂરી કોણે આપી? તેમજ અહીં ગેરકાયદેસર કબ્રસ્તાન કેવી રીતે ઊભું થઈ ગયું?
Bharuch Jama Masjid News : 15 જૂને ભરૂચમાં મહારેલી: કલેક્ટરને અપાશે આવેદનપત્ર
આગામી 15 જૂને યોજાનારી આ મહારેલીમાં અંદાજે 5 થી 7 હજાર જેટલા લોકો જોડાશે તેવી શક્યતા સેવાઈ રહી છે. હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓ એક વિશાળ યાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે. આ આંદોલન દ્વારા સમગ્ર હિન્દુ અને જૈન સમાજ એકસૂરે ભરૂચની આ જામા મસ્જિદને સત્તાવાર રીતે ‘જૈન સમરી વિહાર’ તરીકે જાહેર કરવાની અને તેને તેના મૂળ સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાની માંગણી કલેક્ટર સમક્ષ રજૂ કરશે.