
અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLની લેવાઈ મદદ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બંધ ગાડીમાં યુવકનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું ન હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના રહસ્યમય લાગી રહી છે. કારમાં યુવકને અચેતન અવસ્થામાં જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.
શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી
માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરતાં તેના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. આ મોત હત્યા છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર થયું છે, તેની માહિતી મેળવવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની એક્સપર્ટ ટીમની પણ મદદ લેવાઈ છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

યુવકની વિકાસની તરીકે ઓળખ થઈ
કારમાંથી મળી આવેલા આઈડી કાર્ડના આધારે મૃતકની ઓળખ વિકાસ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ મૃતક યુવક નવરંગપુરા વિસ્તારનો જ સ્થાનિક રહીશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે.
પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. જોકે, યુવકના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હોવાથી આ હત્યા છે કે કુદરતી મૃત્યુ, તે રહસ્ય અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ, યુવક અતિશય નશાની હાલતમાં કારમાં જ સૂઈ ગયો હશે અને પેટ્રોલ ખતમ થતાં (એસી બંધ થવાને કારણે) તેનું મોત નીપજ્યું હોઈ શકે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણની ખબર પડશે.