
ચૌધરી સમાજના તેજસ્વી વિધાર્થીઓને રૂ. ૫૫ લાખની શિષ્યવૃત્તિ આપી ૯૦૦ જેટલા વિધાર્થીઓને લાભ અપાયો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગરના આધસ્થાપક સ્વ. શેઠ શ્રી જીવણભાઇ એમ.ચૌધરીની ૨૧મી પૂણ્યતિથિના સ્મરણાંજલિ કાર્યક્રમ જે.એમ.ચૌધરી વિધા સંકુલ ખાતે યોજાયો હતો.
એસ.વી.કોલેજ અમદાવાદના પ્રિન્સીપાલ શ્રી જગદીશભાઇ ચૌધરી, સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી હરીભાઇ વી. ચૌધરી, દૂધ સાગર ડેરીના નવા વરાયેલા ડીરેકટર શ્રી કનુભાઇ ડી. ચૌધરી, ગં.સ્વ. હેમલત્તાબેન ચૌધરી સહિત સમાજના અગ્રણીઓ સંકુલ ખાતે સ્વ. જીવણભાઇ ચૌધરીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી હરીભાઇ વી. ચૌધરીએ દૂધસાગર ડેરીના ડીરેકટર શ્રી કનુભાઇ ડી. ચૌધરી ( પ્રમુખ ગ્રૃપ) નું સન્માન કર્યું હતું.
આચાર્ય શ્રી જગદીશભાઇ ચૌધરીએ સ્વ. જીવણભાઇ ચૌધરીના કન્યા કેળવણીના કર્ણાધારના જીવનભરના સંધર્ષ અને સમાજ માટે કરેલ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. ચૌધરી સમાજ માટે શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે આપેલ નોંધપાત્ર યોગદાન તથા સમાજ માટે જીવન જીવ્યાની તથા કન્યા કેળવણી ક્ષેત્રે તેમના યોગદાનની વિસ્તૃત માહિતી આપી હતી.
શેઠ શ્રી જે.એમ.ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા તબીબી, ઇજનેરી, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ માટે ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનાર ચૌધરી સમાજના પ્રત્યેક વિધાર્થીને રૂપિયા ૧૦ હજારની શિષ્યવૃત્તિના ચેક આપી સન્માન કર્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૯૦૦ થી વધુ વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૫૫ લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી શંકરભાઇ ચૌધરી, સંસ્થાના મંત્રી શ્રી એમ.કે.ચૌધરી, નાયબ સચિવ શ્રી ડી.જી. ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં ચૌધરી સમાજનમાં શિક્ષણ અને કન્યા કેળવણી ક્ષેત્રે બળ પુરું પાડવામાં સ્વ. શેઠશ્રી જીવણભાઇ ચૌધરીના કાર્યોને યાદ કરી તેમના સ્વપ્નો પૂરા કરવા સૌ એક થઇ પ્રગતિના સોપાનો સર કરવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાઇ- બહેનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
