Jamnagar Accident : ખાનગી બસનો અકસ્માતઃ એકનું મોત, 8 ઈજાગ્રસ્ત, 2ની સ્થિતિ ગંભીર

Jamnagar Accident: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે (18 માર્ચ) જામનગરમાં પણ બસ અને પીક-અપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પીકઅપ વેન ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તેમજ અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં ચેલા ગામ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસ સામેથી આવી રહેલાં બોલેરો પીકપ વેન સાથે અથડાઈને ડિવાઇડર કૂદી ગઈ હતી. જેના કારણે બોલેરો પલટી મારી ગઈ હતી અને ચાલક જસ્મીન તાળાનું ઘટાનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું
આ સિવાય ખાનગી બસમાં બેઠેલા લોકોમાંથી પણ 8 જેટલાં લોકોને ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તો જી. જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. 8 ઈજાગ્રસ્તોમાંથી બે લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને પંચરકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ, આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ત્યાં હાજર લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી તેમના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી રહી છે.