મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં વિવિધ તાલુકા મથકોના ૮ નવા બસ મથકો ૧ એસ.ટી. વર્કશોપના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા
એક જ દિવસમાં રૂ. ૨૮.૨૦ કરોડના લોકાર્પણ- રૂ. ૧૫.૫૨ કરોડના ખાતમૂર્હત સાથે કુલ રૂ. ૪૩.૭ર કરોડના વિકાસ કામોની રાજ્યની મુસાફર જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ દહેગામ બસ મથક લોકાર્પણમાં અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અન્ય લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમ સ્થળોએ સહભાગી થયા
એસ.ટી. નિગમની સેવાઓ કોમર્શિયલ ગતિવિધિ નહિ જનસેવાનું માધ્યમ છે.નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને રોજની ઓછામાં ઓછી એક ટ્રીપની સુવિધા મળે તેવી નેમ સાથે એસ.ટી. સેવાઓ કાર્યરત રાજ્યમાં ૧૬ એસ.ટી. ડિવીઝન-૧રપ બસ ડેપો-૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ દવારા ૮પ૦૦ બસીસના માધ્યમથી ૭પ૦૦ શેડયુલ દ્વારા રોજના રપ લાખ લોકોને એસ.ટી સેવાઓ પૂરી પાડીએ છીયે.એસ.ટી. નિગમે સમયાનુકુલ પરિવર્તન સાથે વોલ્વો-સ્લીપર કોચ, GPS સુવિધા સજ્જ બસ સેવાઓ યાતાયાતમાં મૂકી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા.આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા. મુખ્યમંત્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યીક ગતિવિધિ નહિ પરંતુ લોકસેવાનું સાધન છે તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે. એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૯૯ ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. ૧૬ ડિવીઝન, ૧રપ બસ ડેપો, ૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ તેમજ ૮પ૦૦ બસીસ દ્વારા ૭પ૦૦ શેડયુલ ટ્રીપથી રોજના ૩પ લાખ કિ.મી. બસ સંચાલનથી રપ લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.
વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ, વાવાઝોડુ, પૂર કે અન્ય કોઇ પણ કુદરતી આફતોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા કે પહોચાડવામાં એસ.ટી. નિગમ અને તેના કર્મયોગીઓની સેવા પરાયણતાને અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ કર્મયોગીઓએ કોરોના કાળમાં પણ એસ.ટી. સેવાઓ કે પ્રવૃત્તિઓ અટકવા દીધી નથી અને ઇનહાઉસ બસ બોડી નિર્માણ કરવાના તેમજ કરકસરયુકત ઇંધણ સંચાલન જેવા એવોર્ડઝ પણ મેળવ્યા છે તેની તેમણે સરાહના કરી હતી.
