અમદાવાદમાં કોમી રમખાણો વચ્ચે પણ અટકી નથી રથયાત્રા

અમદાવાદમાં કોમી રમખાણો વચ્ચે પણ અટકી નથી રથયાત્રા

અમદાવાદમાં 2 જુલાઇ 1878માં રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારથી લઇને આજ દિન સુધી એવું બન્યુ નથી કે રથયાત્રા નીકળી ન હોય. જો કે અમદાવાદમાં એવી સ્થિતિ ઘણીવાર ઉભી થઇ કે રથયાત્રાનું આયોજન કરવું અશક્ય હોય. પરંતુ જગતના નાથ જેનું નામ, સ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ જગન્નાથજી નગરચર્યાએ તો નીકળે જ. 

અમદાવાદમાં 1946, 1969 અને 1985ની રથયાત્રા ઐતિહાસિક હતી. કારણ કે આ ત્રણેય વર્ષે અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 1946 અને 1969ના વર્ષમાં રથયાત્રા સમયે બે કોમ વચ્ચે ખૂબ જ ઘર્ષણભર્યો માહોલ હતો. જેના કારણે હુલ્લડો ફાટી નીકળ્યાં હતા. જો કે રથયાત્રાનો પરંપરાગત રૂટ મોટાભાગે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ખૂબ જ ગંભીર સ્થિતિ હતી. પરંતુ તેમ છતાં રથયાત્રા શાંતિપૂર્વક નીકળી હતી. ત્યારે આજે વાત કરીએ 1985ની રથયાત્રાની. 1985માં તો ગુજરાત સરકારે રથયાત્રા પર જ પ્રતિબિંધ મૂકી દીધો હતો તેમ છતાં પણ રથયાત્રા નીકળી  આવો જાણીએ કેવી રીતે.

અમદાવાદમાં 1946, 1969માં કોમી રમખાણો વચ્ચે રથયાત્રા

‘જગન્નાથ મંદિરના પરિસરમાં જ રહેતા હતા પીએમ મોદી’
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે  વર્ષ 1985ની વાત કરીએ તો આ સમયે પીએમ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંઘ પ્રચારક તરીકે કામ કરતા હતા. તે સમયે તેઓ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના પરિસરમાં જ આવેલી એક રૂમમાં રહેતા હતા. તેઓ મંદિરમાં જ રહીને ગૌસેવા કરતા અને સવારે 4 વાગે મંગળાઆરતીમાં અચૂક હાજરી આપતા. તેઓને જગન્નાથ મંદિરનો ખીચડીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હતો.  

1985માં અમદાવાદમાં કર્ફ્યુ વચ્ચે કેવી રીતે નીકળી રથયાત્રા
આ અંગે વધુમાં ડૉ. ભરત અમીને જણાવ્યું કે  1985માં  માધવસિંહ સોલંકીની સરકાર હતી. સમગ્ર અમદાવાદમાં  શૂટ એન્ડ સાઇટનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.  પોલીસ કમિશનરે રથયાત્રાની પરમિશન આપી ન હતી.  બધાને એમ જ લાગતુ હતું કે 108મી રથયાત્રા હવે નહીં નીકળી શકે.  આવા સમયે સંઘ પ્રચારક નરેન્દ્ર મોદીએ મંદિરના કાર્યકર્તાઓ તેમજ તેમના સંપર્કમાં હોય તે તમામ સાથે મિટીંગ કરી કે રથયાત્રાની પરંપરા ન તૂટવી જોઇએ.  તેમણે પ્લાન બનાવ્યો કે કર્ફ્યુ વચ્ચે પણ કેવી રીતે રથને મંદિરની બહાર લાવી શકાય. 

હાથીએ રથ ખેંચીને મંદિરની બહાર લાવ્યો -મહેન્દ્ર ઝા
આ અંગે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું કે  રથયાત્રાની મંજૂરી તો હતી નહી પરંતુ સંઘ પ્રચારક નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રથયાત્રા યોજવાનો પ્લાન તૈયાર હતો. જો કે ભગવાન પણ પોતે નગરચર્યાએ જવા ઇચ્છતા હોય કે બન્યુ એવું કે  ભગવાન જગન્નાથજીની પ્રેરણાથી સરજુપ્રસાદ નામના હાથીએ પોતાના દાંત વચ્ચે રથને  ખસેડીને મંદિરની બહાર લાવ્યો. કર્ફ્યુની સ્થિતિ હતી એટલે મંદિરના દરવાજા સામે જ પોલીસનો કાફલો હતો. બેરિકેડ્સ લગાવેલા હતા. આ બેરેકેડ્સને હાથીએ સૂંઢ વડે ધક્કો મારીને હટાવી દીધા. આ દ્રશ્યોને જોઇને ભગવાન નગરચર્યાએ જવા માગે છે કે તેવો સંકેત સમજીને કર્ફ્યુ વચ્ચે પણ રથ આગળ વધ્યો અને ધીરે ધીરે ભક્તો પણ રથયાત્રામાં જોડાતા ગયા.

આવી રથયાત્રા ક્યારેય નથી જોઇ-વસંત બહેરે 

આ અંગે ડ઼ૉ. ભરત અમીને જણાવ્યું કે કર્ફ્યુની વચ્ચે પણ 10-10 લોકોની સાથે મીટિંગ કરી. મહાવતો, ગૌપાલકો તથા રથ ખેંચનાર સહિત યુવાનોને તૈયાર કર્યા. આમ શૂટ એન્ડ સાઇટ કર્ફ્યુ વચ્ચે અસંભવ કામગીરીને શક્ય બનાવીને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા કાઢી. આ રથયાત્રા વખતે હાજર એવા એક વસંત બહેરે નામના વ્યક્તિએ જણાવ્યું કે કર્ફ્યૂ તો હતો પરંતુ  રથયાત્રામાં એક ગોળી પણ ન છૂટી અને ક્યારેય ન જોઇ હોય તેવી આ ઐતિહાસિક રથયાત્રા હર્ષોલ્લાસ ભેર યોજાઇ.

1993માં રથને બુલેટપ્રુફ કાચથી પ્રોટેક્શન અપાયું હતું

વર્ષ 1993માં બાબરી ધ્વંસ બાદ રથયાત્રા યોજાવવા જઇ રહી હતી. રથયાત્રા પર હુમલો થાય તેવી શકયતા જણાઈ રહી હતી. જેથી રથયાત્રાની સુરક્ષાના હેતુથી ભગવાન જગન્નાથના ત્રણ રથોને બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત કરાયા હતા. રથયાત્રામાં તોફાન થયા હતા છતાં રથ સલામત રીતે નિજ મંદિર પરત ફર્યા હતા. જો કે આ વર્ષે પહેલી વાર ના તો કોમી રમખાણો કે ના તોફાનો છે પરંતુ એક રોગના કારણે પરંપરા તૂટશે અને ભગવાન જગન્નાથ નગરચર્યા પર નહિં જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *