
RE NEET અમદાવાદની કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ અપાયો, હિંદુ પરીક્ષાર્થીને દોરા-કંઠી કાઢવાનું કહેતા વાલીઓનો હોબાળો
RE NEET અમદાવાદમાં RE-NEET પરીક્ષાના એક કેન્દ્ર બહાર પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ ભારે હોબાળો સર્જાયો હતો. વાલીઓ અને પરીક્ષાર્થીઓએ તંત્ર પર હિંદુ અને મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ભેદભાવ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
RE NEET અમદાવાદમાં RE-NEET પરીક્ષાના કેન્દ્ર બહાર રવિવારે ભારે હોબાળો સર્જાયો હતો. શહેરના આર.જે. ટેબરીવાલ સ્કૂલ સેન્ટર ખાતે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો અને તેમના વાલીઓએ પરીક્ષા વ્યવસ્થાપન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વાલીઓનો દાવો છે કે પરીક્ષા કેન્દ્ર પર હિંદુ અને મુસ્લિમ પરીક્ષાર્થીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા ચકાસણી દરમિયાન કેટલાક હિંદુ પરીક્ષાર્થીઓને ધાર્મિક વસ્તુઓ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. વાલીઓના જણાવ્યા અનુસાર, ઉમેદવારોને હાથમાં બાંધેલા દોરા તેમજ ગળામાં પહેરેલી કંઠી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બાબતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
RE NEET હિંદુ પરીક્ષાર્થીઓને ધાર્મિક પ્રતિકો દૂર કરવા માટે કહેવામાં આવ્યું
વાલીઓનો આરોપ છે કે એક તરફ હિંદુ પરીક્ષાર્થીઓને ધાર્મિક પ્રતિકો દૂર કરવા માટે કહેવામાં આવ્યું, જ્યારે બીજી તરફ મુસ્લિમ ઉમેદવારોને હિજાબ પહેરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. આ મુદ્દે પરીક્ષા કેન્દ્ર બહાર હાજર વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો એક સમુદાયના ધાર્મિક પ્રતિકો અંગે કડક નિયમો લાગુ કરવામાં આવે છે તો પછી અન્ય સમુદાય માટે અલગ વ્યવસ્થા કેમ રાખવામાં આવે છે. આર.જે. ટેબરીવાલ સ્કૂલ સેન્ટર બહાર મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. કેટલાક વાલીઓએ તંત્ર સામે ભેદભાવપૂર્ણ વર્તન કરવાનો આરોપ લગાવતા નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી હતી.
થોડા સમય માટે કેન્દ્ર બહાર તંગદિલીનો માહોલ સર્જાયો
ઘટનાને લઈને થોડા સમય માટે કેન્દ્ર બહાર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વાલીઓનું કહેવું છે કે તમામ ઉમેદવારો માટે એકસરખા નિયમો હોવા જોઈએ અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ.
હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. પરીક્ષા કેન્દ્ર બહાર સર્જાયેલા હોબાળાને કારણે RE-NEET પરીક્ષા દરમિયાન વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.