ભગવાન જગન્નાથની 148 ની રથયાત્રા દરમિયાન એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ

ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ
ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, ખાડિયા ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડી.જે અને વધુ પડતા લાઉડ સ્પીકરના કારણે હાથી ભડક્યા હતા, જેના કારણે બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. મહાવત અને અને સુરક્ષા કર્મચારીઓએ મહા મહેનતે હાથીને કાબૂમાં લીધા હતા. ત્યારબાદ એક નર અને બે માદા હાથીને કવર કરીને સાઇડમાં કરી દેવાયા છે અને રથયાત્રાના રૂટમાં જોડવાથી બાકાત કરવામાં આવ્યા છે. હાલ, સમગ્ર ઘટનામાં ટીવી ચેનલના કેમેરામેન ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.

રથયાત્રામાં હાથી બેકાબૂ થયાની ઘટના બન્યા બાદ મ્યુઝિક અને ડી.જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે મ્યુઝિક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાલ તમામ ટ્રકને અને અન્ય ડી.જેની ગાડીઓને મ્યુઝિક બંધ કરવા અનુરોધ કરી રહી છે.

ભાગદોડમાં યુવકને ઈજા થતાં સારવારમાં ખસેડાયો
હાથી બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.