
ગાંધીધામમાં ‘સ્નેહની રાખી સ્વાવલંબનની ડોરી’ મેળાનો પ્રારંભ
ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ‘સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી’ રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મેળામાં મહિલાઓ દ્વારા પોતાની કળા અને કૌશલ્યથી તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં હસ્તકલા, મોતીકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, બ્લોક પ્રિન્ટ, પેચ વર્ક, ટાંગલિયા, મશરૂ, ટેરાકોટા અને કલમકારી સહિતની કચ્છ તથા ગુજરાતની વિવિધ પરંપરાગત કળાઓના ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

કાંતિલાલ અમૃતિયાએ મેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલા કારીગરોના હુન્નર અને સર્જનાત્મકતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓ આ યોજનાઓનો લાભ લઈ પોતાની કળા અને કૌશલ્યને વ્યવસાય સાથે જોડે તે જરૂરી છે.
મેળાના પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી સહિત દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાઓના પરંપરાગત હુન્નરને બજાર સાથે જોડવા અને તેમને સ્વાવલંબન તરફ આગળ વધારવાના પ્રયાસ તરીકે આ રાખી મેળો મહત્વપૂર્ણ બની રહ્યો છે.
