
કચ્છ-મોરબી માટે નવી ટ્રેન સેવાઓની માંગ, વિનોદ ચાવડાએ અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી
નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવા તથા નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી.
વિનોદ ચાવડાએ ભુજ-સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, મોરબી-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા તેમજ ભુજથી થાણા (મુંબઈ) વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરી હતી.
આ ઉપરાંત ભુજ અને ગાંધીધામથી દોડતી ટ્રેનોને માળિયા ખાતે સ્ટોપેજ આપવા તથા ગાંધીધામ-ભાગલપુર ટ્રેન નંબર 09451ને સતત ચાલુ રાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છથી ઉત્તર પ્રદેશને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા ઉપરાંત મોરબી-અમદાવાદ અને મોરબી-રાજકોટ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ પણ રેલવે મંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી.
વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છમાં ધંધા-રોજગાર માટે સ્થાયી થયેલા લાખો પરિવારો તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મુસાફરી કરતા લોકોને આ નવી રેલ સેવાઓથી સુવિધા મળી શકે છે.
રજૂઆત દરમિયાન ઉત્તર ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો પણ સાંસદ સાથે જોડાયા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂઆતોને સાંભળી અને તેના પર સકારાત્મક અભિગમ દર્શાવ્યો હોવાનું સાંસદે જણાવ્યું હતું.
