સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી હતી.

શનિવારે આ મહત્ત્વપૂર્ણ યોજના વિશે માહિતી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દૂરના વિસ્તારોમાં રહેતા કારીગરોને મદદ કરવા અને તેમને મૂલ્ય શૃંખલાનો એક ભાગ બનાવવા માટે ‘મિશન મોડ’માં કામ કરવાની જરૂર છે.

મોદીએ બજેટ પછી ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન’ યોજના પર આયોજિત એક વેબિનારમાં કહ્યું, “અમારો ઉદ્દેશ્ય આજના કારીગરોને આવતીકાલના મોટા ઉદ્યમી બનાવવાનો છે. આ માટે, તેમના વ્યવસાય મોડેલમાં સ્થિરતા જરૂરી છે.” તેમણે તમામ હિતધારકોને નાના કારીગરોને તેમની મૂલ્ય શૃંખલાનો એક ભાગ બનાવવા હાકલ કરી.

મોદીએ કહ્યું કે ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના’નો ઉદ્દેશ્ય કારીગરોના કૌશલ્યોને અપગ્રેડ કરવાનો, તેમને સરળતાથી ધિરાણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને બ્રાન્ડ પ્રમોશનમાં તેમની મદદ કરવાનો છે જેથી તેમના ઉત્પાદનો ઝડપથી બજારમાં પહોંચી શકે. તેમણે કહ્યું કે તેનો હેતુ કારીગરો અને નાના વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને મદદ કરવાનો પણ છે.

તેમણે કહ્યું કે ‘સ્કિલ ઈન્ડિયા મિશન’ હેઠળ કરોડો લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્થાનિક હસ્તકલાના નિર્માણમાં અને દેશના વિકાસમાં નાના પાયે કારીગરો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *