Talati Exam 2023 : ઉમેદવારો ફટાફટ આ સમાચાર વાંચી લેજો

Talati Exam 2023: આગામી 7 માર્ચે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે.

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે મોટા સમાચાર

તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા 3 જિલ્લાના ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે. મંડળ દ્વારા વડોદરા, સુરત અને પાટણના પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણેય જિલ્લામાં જે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર આવ્યું હોય તેઓએ આ પરીક્ષા કેન્દ્ર વિશે જાણી લેવું જોઈએ.

8 લાખ કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા!


7 મેના રોજ યોજનારી તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડુ ઉમેદવારો પાસેથી વસુલીને બસનું સંચાલન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

લેવાયો હતો મહત્વનો નિર્ણય
આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષાનાં દિવસોમાં શાળા અને કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.06/05/2023 તથા તા.07/05/2023ના રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

7 મે ના રોજ રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે તલાટી ની પરીક્ષા ને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા હસમુખ પટેલે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ તથા ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાઈ છે.

ગેરરીતિ અટકાવવા કરાઈ જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણીઃ હસમુખ પટેલ

વધુમાં તેમણે કહ્યું હતું કે, તલાટીની પરીક્ષા માટે 8.64 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8.19 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી 8 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે. તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેથી તમામ ઉમેદવારોએ જિલ્લા બહાર પરીક્ષા આપવા જવું પડશે. આ તમામ ઉમેદવારોને રહેવા માટે છાત્રાલયો અને સમાજવાડીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ ગત પરીક્ષામાં ઉમેદવારોને મદદ કરી હતી. જેથી આ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આ વખતે પણ ઉમેદવારને મદદ કરે તેવી અમારી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *