
ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે વિદ્યાર્થિનીની સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ધોરાજીની રોયલ હોસ્ટેલના રૂમ નંબર 318માં વિદ્યાર્થિનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરાતા ધોરાજી પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. .
રૂમમાંથી મળી આવી સુસાઈડ નોટ
પોલીસની ટીમે વિદ્યાર્થિનીના રૂમમાં તપાસ કરતા રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. તેણીએ આ સુસાઈડ નોટમાં પિતાથી નારાજ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં પિતાએ ક્યારેય દીકરી ન ગણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેના પિતા ફક્ત ગુસ્સો કરતા હોય, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવું પણ જણાવ્યું છે.

વિદ્યાર્થિનીનો અંતિમ સંદેશ
વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે તમને મને ક્યારેય પોતાની દીકરી જ સમજી નહતી. તમને બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને માં અને બાપ બંનેનો પ્રમ આપ્યો. સોરી દાદી……. આઈ હેટ યુ પપ્પા ‘

વધુમાં લખ્યું છે કે, ‘માં જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હઈશ. મા મને માફ કરી દેજો કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
હાલ ધોરાજી પોલીસે આ સુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીના પરિવારને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.