SARANGPUR HANUMANJI : સાળંગપુરધામમાં 8 કિલોના સુવર્ણ વાઘામાં હનુમાનદાદાના મનમોહક દર્શન.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર આજે (2 એપ્રિલે) ‘શ્રી કષ્ટભંજનદેવ’’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતીના પાવન અવસરે આયોજિત ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’માં શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

આજે 2 એપ્રિલના રોજ વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી સાથે જન્મોત્સવનો પ્રારંભ થયો હતો. સવારે 7 કલાકે શણગાર આરતીમાં જ્યારે દાદાના દર્શન ખુલ્યા ત્યારે, ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શ્રી કષ્ટભંજનદેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા, રિયલ ડાયમંડ અને કિંમતી રત્નોજડિત અલૌકિક સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વાઘા તૈયાર કરવા માટે 100 સોનીએ સતત 1050 કલાક સુધી મહેનત કરી હતી.

દાદાના પ્રાગટ્યને વધાવવા માટે મંદિર પરિસરમાં અદભુત આયોજન કરાયું હતું. સવારે 7:30 કલાકે 151 કિલોની વિશાળ કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ જ સમયે આકાશમાંથી 1,00,000 રંગબેરંગી બલૂનનું ડ્રોપિંગ કરવામાં આવતાં સમગ્ર પરિસર હર્ષોલ્લાસમાં ડૂબી ગયું હતું. ભક્તો ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
વિશ્વ કલ્યાણના હેતુથી યોજાયેલા સમૂહ મારુતિ યજ્ઞએ આ વર્ષે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. દર વર્ષે 500 પાટલાની સામે આ વર્ષે 751 પાટલા પર 1000થી વધુ ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ સહભાગી થઈ દેશની શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
ભક્તો માટે સવારે 10 કલાકે વિશાળ અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યારે બપોરે 11 કલાકે દાદાને 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજના દિવસના અંતે સાંજે 7 કલાકે દોઢ લાખથી વધુ ભક્તોની હાજરીમાં મહાસંધ્યા આરતીનું આયોજન છે, જે આ ઉત્સવની પૂર્ણાહુતિ કરશે.
સાળંગપુરધામમાં આયોજિત આ મહોત્સવે સાબિત કરી દીધું છે કે અહીં માત્ર ધાર્મિક પરંપરાઓ જ નહીં, પણ આધુનિકતા અને ભક્તિનો સમન્વય જોવા મળે છે. ભક્તોની અપાર શ્રદ્ધાને કારણે મંદિરના તમામ ઉતારાઓ અગાઉથી જ ફૂલ થઈ ગયા હતા.
ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે રાત્રે ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિરાટ પ્રતિમા પાસે આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શો અને અદભુત આતશબાજી યોજાઈ હતી. કીર્તિદાન ગઢવી અને બીરજુ બારોટ જેવા ખ્યાતનામ કલાકારોના લોકડાયરામાં ભક્તો મોડીરાત સુધી ભક્તિરસમાં તરબોળ થયા હતા.