
દેશભરમાં બાબા કેદારના શ્રદ્ધાળુઓ સહિત સમગ્ર દેશવાસીઓના હૈયા હચમચાવી મુક્તિ ઉત્તરાખંડની ભૂસ્ખલનની આપત્તિને કચ્છના ભૂકંપ સાથે સરખાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે કચ્છનું ઉદાહરણ આપ્યું છે.કેદારધામની મુલાકાત પ્રસંગે સભાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકોના મનમાં સવાલ હતો કે, કેદારધામ ફરી ઉભુ થશે ? પરંતુ મને વિશ્વાસ હતો કે, કેદારધામ અગાઉ કરતાં વધુ શાન સાથે ફરી બેઠુ થશે. અને આ વિશ્વાસ કેદાર બાબાના કારણે, આદિ શંકરની અને ઋષિમુનિઓની તપસ્યાના કારણે હતો. અને સાથે કચ્છને ભૂકંપ બાદ બેઠું કરવાનો અનુભવ હતો. આજે આ વિશ્વાસ સાકાર થતો જોઈ જીવનના સૌથી મોટા સંતોષનો આનંદ છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન મોદી કચ્છનું ઉદાહરણ અનેક વખત આપી ચુકયા છે. નજીકના ભૂતકાળમાં વિશ્વ પ્રસિદ્ધ બન્ની ગ્રાસ લેન્ડ અંગે યુનોની સભામાં વડાપ્રધાને નિવેદન આપ્યું હતું. ત્યારે કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું થયું હતું. ફરી એક વખત કેદારધામ ખાતે પીએમ મોદીએ કચ્છને યાદ કરતાં કચ્છીમાડૂઓમાં ગર્વની લાગણી ફેલાઈ છે.