NATIONAL HIGHWAY No 48 : વાંસદાના MLA અનંત પટેલે હાઈવે નંબર-48 પરના ખરાબ રસ્તાઓના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યુ અને મરાઠી-ગુજરાતી વિવાદ પર મીઠી ટકોર પણ કરી.

NATIONAL HIGHWAY No 48 : નવસારી જિલ્લાના બોરીયચ ટોલનાકા પર આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નેશનલ હાઈવે નંબર-48 પરના ખરાબ રસ્તાઓના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું. હાઈવે પર પડેલા ખાડાઓ અને ખખડધજ રસ્તાઓને લઈને ધારાસભ્યે ટોલ વસૂલી બંધ કરવાની માગ કરી હતી.
વિરોધ દરમિયાન પોલીસ દ્વારા ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરોને ટોલનાકાની ઓફિસ નજીક લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ નીચે બેસી પોતાની માંગ પર અડગ રહ્યા. આ દરમિયાન ટોલ પ્લાઝાના AGM રમેશ શર્મા સાથે થયેલી ચર્ચામાં ધારાસભ્ય અનંત પટેલે મરાઠી-ગુજરાતી વિવાદને લઈને મીઠી ટકોર કરી હતી.”અમે સી.આર. પાટીલનું પણ સન્માન કરીએ છીએ”
ધારાસભ્ય અનંત પટેલે ટોલ પ્લાઝાના AGM રમેશ શર્માને કહ્યું, “તમે મરાઠી છો, છતાં પણ અમે તમારું સન્માન કરીએ છીએ. ગુજરાતીઓ મુંબઈમાં મરાઠી લોકોના હાથથી માર ખાય છે, છતાં અમે મરાઠીઓનું સન્માન કરીએ છીએ. અમે સી.આર. પાટીલનું પણ સન્માન કરીએ છીએ.”તેમણે ટકોર કરી કે, “જો તમે ખખડધજ રસ્તાઓની મરામત ન કરી શકો, તો ટોલ વસૂલી બંધ કરો.”
થોડા દિવસો અગાઉ થાણેમાં MNS કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતી વેપારીને મરાઠી ન બોલવાને લઈને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ પૃષ્ઠભૂમિમાં ધારાસભ્ય અનંત પટેલે મરાઠી-ગુજરાતી વિવાદ પર મીઠી ટકોર કરતાં આ મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે.
નવસારીના બોરિયાચ ટોલનાકા પર આજે કોંગ્રેસ દ્વારા જન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો ટોલનાકા પર એકત્રિત થયા અને ખરાબ રસ્તાઓના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

NATIONAL HIGHWAY No 48 : દરમિયાન પોલીસે અટકાયતનો પ્રયાસ કર્યો ત્યારે કાર્યકરોએ કોર્ડન કરીને પ્રતિકાર કર્યો હતો. બાદમાં ધરણા પર બેઠા હતા. જ્યાં ટોલ એજન્સીના જવાબદારનો ઉઘડો લીધો હતો, જ્યારે જવાબદાર અધિકારીને ધરણા સ્થળે વાત સાંભળવા મજબૂર કર્યા હતા.