MANDVI CLOSED TO PROTEST NON VEG SALE : માંડવીમાં નોનવેજ વેચાણ સામે 40 સમાજ અને 20 વેપારી મંડળના સમર્થનથી બજારો બંધ.

MANDVI CLOSED : માંડવી શહેરમાં આજે જાહેર માર્ગો અને દેવ મંદિરો નજીક નોનવેજ વેચાણના વિરોધમાં મોટાભાગની દુકાનો બંધ રહી છે. સનાતન સમાજ દ્વારા આઝાદ ચોક ખાતે સવારના 11 વાગ્યાથી એક દિવસીય પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.

માંડવી હિન્દૂ યુવા સંઘઠનના અધ્યક્ષ રાજાભાઇ પરમારના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે લડત ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, માંસમટનનું અવૈધ વેચાણ અને દેવ મંદિરો જેવા સાર્વજનિક સ્થળોએ થતા વેચાણથી સનાતન સમાજની લાગણી દુભાય છે.

આંદોલનને 40 જેટલા વિવિધ સમાજ અને 20 વેપારી મંડળોનું સમર્થન મળ્યું છે. સવારથી જ શહેરની મોટાભાગની નાની-મોટી દુકાનો બંધ રહી છે. શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો પણ બંધ છે.
બંધના કારણે દરિયા કિનારે ફરવા આવેલા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લઘુમતી સમાજે બંધમાં જોડાવાનું ટાળ્યું છે. સમાજના અગ્રણીઓએ વહીવટી તંત્ર પાસે જાહેર માર્ગો પર થતા માંસાહારના વેચાણને અટકાવવાની માંગ કરી છે.