
ગુજરાતનો એન્જિનિયર દંપત્તિ બની ગયા Agripreneurs , ભારતીય ગાયો- ગીર,કાંકરેજમાં A2 પ્રોટીન હોય છે
વાત કરવી છે એવા એન્જિનિયર દંપત્તિની જે સારી સારી જોબને છોડી ગાય આધારિત ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને આજે ઘરોમાં પહોંચાડે છે સ્પેશ્યલ A2 પ્રોટીનયુક્ત દૂધ, જાણો આ દૂધની શું છે ખાસિયત?
વાત છે એક એન્જીનિયર દંપતીની કે જે હવે સંપૂર્ણ રીતે Agripreneurs બની ગયાં છે- અડાલજ પાસે ગૌનીતિ નામનું ડેરી ફાર્મ છે જેમાં 100 થી વધારે ગીરની ગાયો છે. ચાલો આ કમ્પ્યુટર-શાળાથી ગૌશાળા સુધીની સફર જાણીએ અને માણીએ. આ સફર વિષે વાત કરવી કેટલાક કારણોસર મહત્વપૂર્ણ છે. અત્યારે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધારે સાવચેત બન્યા છે.
તંદુરસ્ત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારે તે ખાદ્ય ચીજોની શોધમાં રહેતા હોય છે. લોકોને તેના ફાયદાઓ માટે પંચગવ્ય વસ્તુઓ અને તેના ફાયદાઓ માટે શું પસંદ કરવું તે અંગે ગૌનીતિ જાગૃત કરે છે, અને આવી વસ્તુઓ પુરી પાડે છે. શ્રીકાંત અને ચાર્મી માલદેની આ સફર આજના યુવા અને ભણેલા લોકોને આકર્ષિત અને પ્રેરિત કરી શકે એવી છે.
શ્રીકાંતે એક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી IT અને Masters in Software Engineering કર્યું છે અને કેટલીક મોટી IT કંપનીઓમાં ૧૦ વર્ષ સુધી કામ કર્યું અને યોગ્ય પગાર વાળી નોકરી હતી, પરંતુ સંતોષ નહોતો. ઉપરાંત કેન્સરથી પિતાના અવસાન બાદ શ્રીકાંત અને ચાર્મી આરોગ્ય પ્રત્યે વધારે જાગૃત બન્યા અને પોતાના ખાદ્ય પદાર્થનું ઉત્પાદન જાતે જ કરવાનું વિચાર્યું. ચાર્મી કેમિકલ એન્જીનીયર છે અને નડિયાદની પ્રખ્યાત યુનિવર્સીટીમાં 12 થી વધુ વર્ષો માટે પ્રોફેસર રહી ચૂક્યાં છે. સંશોધન કરતા એમને સમજાયું કે જો યોગ્ય રીતે કાર્ય કરે તો આ બાબત માટે એક સફળ વ્યવસાય શરૂ કરી શકાય.
જોકે એમની પાસે કૃષિનો કોઈ પૂર્વ અનુભવ નહોતો, છતાં પણ આ પ્રવૃત્તિને શોખ તરીકે શરૂ કરી. છ મહિના સંશોધન કરીને, 2017 માં આ ઉદ્યોગની શરૂઆત કરી. શ્રીકાંતે પોતાની IT ની નોકરી છોડી અને ફુલટાઈમ ગૌનીતિમાં આવી ગયો. વ્હાઇટ કોલર જોબ થી કૃષિના ઉદ્યોગ તરફ વળવાનો નિર્ણય સહેલો ન હતો, પરંતુ તે તેના નિર્ણય પર અડગ રહ્યા.
A1 અને A2 દૂધ માં શું ફરક હોય છે?
A1 અને A2 દૂધનાં પ્રોટીન હોય છે. આપણી અસલ ભારતીય ગાયો – ગીર / કાંકરેજ – માં A2 પ્રોટીન હોય છે. A2 ગાયોને ખૂંધ અને ગોદડીથી ઓળખી શકાય છે. આ ગાયો A2 દૂધ આપે છે; વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે A2 દૂધ આરોગ્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ છે (ઓસ્ટ્રેલિયન સંશોધક Keith Woodford દ્વારા જાણીતી પુસ્તક Devil in the Milk માં આ બાબત વિગતવાર રિસર્ચ કરેલ છે.) આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ દેશી ગાયના દૂધ, ઘી અને પંચગવ્યના ફાયદાઓના અસંખ્ય ઉલ્લેખ છે.
નાના પગલાં ભરી અને આગળનો રસ્તો નક્કી કરતા રહ્યા: શ્રીકાંત
ગૌનીતિ ગાયોની પસંદગી (યોગ્ય પરીક્ષણ, ફક્ત રોગમુક્ત અને અસલ ગીર ગાય) થી લઇને દૈનિક કામગીરી, પોષણ વ્યવસ્થા, આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ સભાન રહે છે અને સતત સુધારાના પ્રયાસ કરે છે. શ્રીકાંત કહે છે કે “આ બધા પ્રયત્નો લાંબા ગાળામાં એક ફાર્મ થી બીજા ફાર્મમાં તફાવત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત, તાજુ અને પ્રોસેસ વિનાનું આરોગ્યપ્રદ દૂધ અને તેમના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઘરે-ઘરે પોંહચાડવા બનતા બધા પ્રયત્નો કરીએ છીએ.” શરૂઆતમાં પ્રારંભિક યોજના મુજબ કોઈપણ કાર્ય થતું ન હતું. પણ નાના નાના પગલાં ભરી અને આગળનો રસ્તો નક્કી કરતા રહ્યા.
સંતોષકારક અને સકારાત્મક પ્રવૃત્તિ છે:શ્રીકાંત અને ચાર્મી
આમ ધીરે ધીરે 4 ગીરની ગાયો થી 100 થી વધારે ગીરની ગાયો સુધી પ્રગતિ કરી. ગૌનીતિ દરરોજ 350 થી વધુ ઘરોમાં વિવિધ વસ્તુઓ પોંહચાડે છે જેમ કે દુધ, વલોણા નું ઘી, માખણ, પનીર અને ગોબર અને ગૌ-મૂત્ર માંથી બનતી વિવિધ વસ્તુઓ. આવી 15 થી વધુ વસ્તુઓ છે જેમ કે બામ, ફ્લોર ક્લીનર, ખાતર, ધૂપ, અગરબત્તી, વગેરે. આ આખી સફર ઘણા બધા ઉતાર-ચઢાવ વાળી રહી છે, પરંતુ શ્રીકાંત અને ચાર્મી કહે છે કે આ બહુ જ સંતોષકારક અને સકારાત્મક પ્રવૃત્તિ છે જે તેમને આગળ વધવા માટે પ્રેરિત કરતી રહે છે.