FIGHT BETWEEN 2 GROUP IN JAFRABAD : જાફરાબાદમાં જૂથ અથડામણમાં બીજા જૂથે હોસ્પિટલમાં ઘૂસીને પણ ઈજાગ્રસ્તો, વકીલ સહિતના લોકોને માર્યા

રાજ્યમાં લૂંટ, મારામારી, હત્યા સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમરેલીના જાફરાબાદમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. બે જૂથ વચ્ચેની બબાલમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જોકે, એક જૂથના 10થી વધુ લોકોએ હોસ્પિટલમાં ઘૂસીને ઘાયલો લોકો અને હોસ્પિટલના પટાવાળા, વકીલ સહિત 5 લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકોને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સામેના જૂથના લોકો 10થી વધુ લોકો લાકડીઓ-ધોકા લઈને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જેમાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત લોકો સહિત હોસ્પિટલના પટાવાળા, 1 વકીલ સહિત 5 લોકો ઉપર હુમલો કર્યો હતો.

વકીલ અરવિંદ ખુમાણ ઉપર હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ધોકા વડે અજાણીયા ઈસમોએ હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં લાકડી-ધોકા વડે ધમાલ મચાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને લઈને રાજુલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.