DNA : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના ડીએનએ સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં સગા–સ્નેહીજનોને ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.