STAMPEDE AT MANSA TEMPLE IN HARIDWAR : વીજ કરંટની અફવાને કારણે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6નાં મોત, 29 લોકો ઘાયલ.

રવિવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી.
તેમજ, પોલીસે જણાવ્યું હતું કે મંદિરના માર્ગમાં સીડીઓ પર વીજ કરંટ લાગવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે લોકોમાં અફરા-તફરી મચી જતા નાસભાગ થઈ હતી.
SSP પ્રમોદ સિંહ ડોભાલે જણાવ્યું હતું કે- અમને મનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 35 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા હતા. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે.

પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, નાસભાગની ઘટના મંદિરની સીડીઓ પર બની હતી. ભાગદોડ પાછળના કારણની હજુ તપાસ ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આજે રવિવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ સામાન્ય દિવસો કરતા વધુ હતી. સવારથી જ ભક્તો માતાના દર્શન માટે લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન આ દુર્ઘટના થઈ છે.
ગંગા સભા સાથે સંકળાયેલા તીર્થ પુજારી ઉજ્જવલ પંડિતે કહ્યું, “આ ઘટના સવારે 9 થી 9:15 વાગ્યાની વચ્ચે બની જ્યારે અમે યાત્રાળુઓને મદદ માટે બૂમો પાડતા સાંભળ્યા. કારણ કે આ ફક્ત ચાલતા જવાનો રસ્તો છે, તેથી તરત જ અફરા-તફરી મચી ગઈ. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ શરૂઆતમાં સમજી શક્યા નહીં કે શું થઈ રહ્યું છે.”

તેમણે વધુમાં કહ્યું, ” થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને અમે પોલીસને ઘાયલોને લઈ જવામાં મદદ કરી. એવું માનવામાં આવે છે કે રસ્તાની નજીકની દિવાલ પણ નાસભાગનું કારણ બની હતી,”
ઉત્તર પ્રદેશના એક યાત્રાળુએ જણાવ્યું, “મેં જે જોયું તેના પરથી, લગભગ 20 લોકો ઘાયલ થયા હોય તેવું લાગતું હતું. ઘટના પછી, મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને બધા યાત્રાળુઓને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું,”