રાજકોટ યાર્ડમાં ખેડૂતે 472 કિલો ડુંગળી વેચી, પૈસા તો ન મળ્યા સામેથી 131 ચૂકવવા પડ્યા

રાજ્યમાં ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રડવાના દિવસો આવ્યા છે. ગઈકાલે જ જામનગરમાં એક ખેડૂતને 166 કિલો ડુંગળી વેચ્યા બાદ માત્ર રૂ.10 ચૂકવાયા હતા. ત્યારે હવે રાજકોટમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 472 કિલો ડુંગળી માર્કેટયાર્ડમાં વેચનારા ખેડૂતને એક રૂપિયો ન મળ્યો ઉપરથી સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા.

રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવકને લઈ મોટા મોટા બણગાં ફૂંકી રહી છે. ત્યારે વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળી રહી છે. સરકાર ખેડૂતોની જાણે મજાક ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈએ પહેલી માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને વેચવા આવ્યા હતા અને એક મણનો ભાવ રૂ.21 લેખે પૈસા ચૂકવાયા. આમ ડુંગળી વેચવાના તેમને રૂ.495 મળ્યા હતા. જોકે સામે ટ્રકનું ભાડું રૂ.590 અને ઉતરાઈ ખર્ચ રૂ.36 મળીને ખરાજત રૂ.626 થઈ જતા તેમને સામેથી રૂ.131 ચૂકવવા પડ્યા હતા.

ઘરેથી ડુંગળી વેચીને કંઈ પૈસા મળશે એવા વિચારથી નીકળેલા ખેડૂતને પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા પડતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા. તેણે જે પૈસા ચૂકવવા પડ્યા છે તે તો માત્ર ઘરથી માર્કેટયાર્ડ સુધીનો જ ખર્ચ છે. આ ઉપરાંત વાવેતર, મજૂરી ખર્ચનો તો આમા સમાવેશ જ નથી થયો. આમ ઘાટ કરતા તો ઘડામણ મોંઘી પડે દેવા દિવસો ડુંગળીના ખેડૂતો માટે આવ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયા તથા તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. જેના તેમને માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. આ બાબતે સવજીભાઈ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. ખર્ચ બાદ કરતાં 166 કિલો ડુંગળી નાં રૂપિયા 10 હાથ માં આવેલ હતાં, જો મણ નાં 200 જેટલાં ભાવ આવે તો જ અમારો ખર્ચ અને રોકાણ નીકળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *