
વડોદરા 20 દિવસમાં 11 બાળકોનાં મૃત્યુ:શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસથી શહેરની પ્રથમ બાળકીનું મોત
મધ્ય ગુજરાતમાં વકરી રહેલો ભેદી વાઇરસ ચાંદીપુરમ છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. વડોદરા સયાજી હોસ્પિટલમાં 20 દિવસમાં 11 બાળકોનાં મૃત્યુ થયાં છે, જેમાં શનિવારે શહેરમાં પ્રથમ મોત નોંધાયું છે. મકરપુરાની 4 વર્ષની બાળકીનું સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં મોત થયું હતું.
આ પણ વાંચો : બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એન્કેફેલાઈટિસના બાળ દર્દીઓ પૈકી શનિવારે મકરપુરાની 4 વર્ષની બાળકી અને સંતરામપુરની 2 વર્ષની બાળકીનાં મોત થયાં હતાં.વડોદરા સયાજી હોસ્પિટલમાં 11 બાળકો સારવાર માટે આવ્યાં હતાં, જે પૈકી 11નાં મોત થયાં છે, જ્યારે 6ને રજા અપાઈ હતી. હજુ 2 બાળક સારવાર હેઠળ છે. સયાજી હોસ્પિટલ દ્વારા જણાવ્યા મુજબ શહેરની બાળકીનો ચાંદીપુરમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે સંતરામપુરની બાળકીનો રિપોર્ટ પેન્ડિંગ છે.
વડોદરા શહેરમાં 3 બાળ દર્દી પૈકી 2ને રજા અપાઈ
વડોદરા શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરમથી પીડિત 3 બાળક નોંધાયાં હતાં.જે પૈકી ભાયલીના સાડા ચાર વર્ષના બાળક અને કિશનવાડીના 4 વર્ષના બાળકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જ્યારે મકરપુરાની બાળકીનું મોત થયું છે.

બાળકો રહે છે ત્યાં સેન્ડફ્લાય ન મળી
શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસ અંગે પાલિકાના આરોગ્ય વિભાગે તપાસ કરી હતી અને સ્વચ્છતા માટે પ્રયાસ કર્યા હતા. આશ્ચર્યજનક રીતે ત્રણે બાળકો જ્યાં રહે છે તે વિસ્તારમાં સેન્ડફ્લાય મળી નથી. આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ કાચાં ઘર કે ઝૂંપડાં હોય ત્યાં સેન્ડફ્લાય હોઈ શકે છે. આ વિસ્તારમાં સેન્ડફ્લાય મળી નથી તો ચાંદીપુરમ જેવાં લક્ષણો ધરાવતો વાઇરસ કેવી રીતે ફેલાય છે તે તપાસનો વિષય છે.