અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

અમરેલી

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો.  જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ૨૪ નાગરિકો પાણીમાં ફસાયા હતા. 

આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા અને જિલ્લા વહીવટી તંત્ર તથા રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

પીપાવાવ અને વિકટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો, આવી સ્થિતિમાં આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ પીપાવાવ કોસ્ટ ગાર્ડને જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા.

અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટ ગાર્ડ અને પીપાવાવ કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા ત્રણ બોટમાં આ લોકોને રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામે ભારે વરસાદની સ્થિતિના પગલે પાણી ભરાયા હતા. 

સાવરકુંડલાના ફીફાદ ગામે ખાનગી બસમાં સવાર હતા તેવા છ મુસાફરો પાણીમાં ફસાયા હતા તેની જાણ સાવરકુંડલા પ્રાંત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને થતાં સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સ્થળ પર ફસાયેલા મુસાફરો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરવા માટે અમરેલી જિલ્લાના માર્ગની સાથોસાથ ભાવનગર જિલ્લાના ગારિયાધારના માર્ગ તરફથી પણ રેસ્કયુ કામગીરી શરુ કરવામાં આવી હતી.

બસની અંદર પાણી ભરાઇ જતાં મુસાફરો દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, જિલ્લા કંટ્રોલ રુમ અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ રાહત કમિશનર શ્રી આલોક પાંડેને આ સ્થિતિથી અવગત કર્યા હતા, તેમના દ્વારા દિશાનિર્દેશો થતાં જામનગર એરફોર્સનું હેલિકોપ્ટર ફીફાદ ખાતે મોકલવામાં આવ્યું હતું, આ દરમિયાન ગારિયાધારના માર્ગેથી આ છ મુસાફર પૈકીના પાંચ મુસાફરને રેસ્કયુ કરવામાં સફળતા મળી હતી. 

છ પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો, આ એક મુસાફરને રેસ્ક્યુ કરવા જિલ્લા કલેકટરશ્રીએ ફાયર ટીમને સૂચના આપી હતી. ફાયર ટીમની બોટ દ્વારા બાકી રહેલા આ એક મુસાફરને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરી હતી, તેથી આ મુસાફરને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

શેત્રુંજીના કાંઠે લીલીયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં છ નાગરિકો અને નદીકાંઠે આવેલા રાજુલા નગરપાલિકા સત્યજીત સોસાયટી વિસ્તારમાં બે નાગરિકો પાણીમાં ફસાયા હતા તેમને પણ રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલીપસિંહ ગોહિલના ટીમ વર્કથી આ તમામ રેસ્કયૂ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *