
અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે ₹1632 કરોડના અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે માઁ અંબાના દર્શન તથા પૂજન-અર્ચન કરીને રાજ્યની શાંતિ-સમૃદ્ધિ અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ ₹1632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા ‘અંબાજી કોરિડોર’ના પ્રથમ તબક્કાના ₹950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા.
પ્રથમ તબક્કામાં મલ્ટિલેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથ-વે, શક્તિપથ, શક્તિ કોરિડોર, એમ્ફી થિયેટર સહિતની આધુનિક અને યાત્રાળુ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી અંબાજી આવતા શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અને સુગમ અનુભવ મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટથી વિસ્તારમાં સરળ કનેક્ટિવિટી વધશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
મુખ્યમંત્રીએ અંબાજી ધામમાં આવનારા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સ્થાનિક ઉત્પાદનો ખરીદી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો અને માઁ આંબાના આશીર્વાદથી આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સાર્વજનિક સ્થાપના વિધિ પણ સંપન્ન કરવામાં આવી. આશરે 16 ફૂટ ઊંચું અને 600 કિલોગ્રામ વજન ધરાવતું આ ભવ્ય ત્રિશૂળ તેની દિવ્ય ભવ્યતાથી શ્રદ્ધાળુઓમાં શક્તિની અનુભૂતિ કરાવશે અને અંબાજી દર્શન માટે આવનારા યાત્રિકો માટે આસ્થા અને આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.