STATE LEVEL INDEPENDENCE DAY IN PORBANDAR : પોરબંદરમાં CMના હસ્તે ધ્વજવંદન, બાઇક સ્ટંટ અને તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ

79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે (15મી ઓગસ્ટે) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બનવા અપીલ કરી હતી.

આજના મુખ્ય સમારોહમાં “બાપુના પગલે તિરંગા ભારત” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 કલાકાર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર રાજ્યમાં સવારે 9:00 કલાકે એકસાથે તમામ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો શરૂ થયા હતા, જેણે આઝાદીના આ મહાપર્વને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ અમૃતકાળમાં ચાર મહત્ત્વપૂર્ણ ઉજવણી થઈ રહી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી, બંધારણના અંગીકરણનાં 75 વર્ષ તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દીનો સમાવેશ થાય છે. આ તમામ ઉજવણીઓ આપણને સૌને દેશ માટે કર્તવ્યરત રહેવાની અને રાષ્ટ્રહિતને સમર્પિત રહેવાની પ્રેરણા આપનારા અવસરો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના યુવાનો હવે નોકરી શોધવાવાળા (job seekers) નહીં, પરંતુ નોકરી આપવાવાળા (job givers) બની રહ્યા છે. મહિલા સશક્તીકરણ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ અત્યારસુધીમાં 10 લાખ દીકરીને લાભ મળ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ અને માછીમારોની પ્રગતિ માટે રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ પગલાં ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે.

