RETIRED ARMY JAWAN : 21 વર્ષની સેવા બાદ હમીરપરના વતની નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર ભાટીયાનું ગામમાં ભવ્ય સ્વાગત

વાગડ વિસ્તારના રાપર તાલુકાના હમીરપર ગામના વતની દિલીપકુમાર વેલજીભાઈ ભાટીયાનું 21 વર્ષની ભારતીય સેનામાંથી નિવૃત્તિ બાદ વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વાળંદ સમાજના આ ગૌરવ સમાન જવાનનું રાપર શહેરના નગાસર તળાવ ખાતે સન્માન કરાયું. આ અવસરે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, વાસુદેવ જોશી, અરવિંદ ભાટીયા, કાનાભાઈ ગોહીલ, હમીરજી સોઢા, ભરત રાજપૂત, વિનુભાઇ થાનકી સહિતના આગેવાનો અને વાળંદ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
દિલીપકુમાર ભાટીયાએ જામનગર ARO ભારતીય લશ્કરમાં જોડાયા બાદ કઠિન તાલીમ પૂર્ણ કરી હતી. તેમની પ્રથમ પોસ્ટિંગ 8 ફેબ્રુઆરી 2006માં પોકરણ ગઢમાં તોપની ફાયરિંગ માટે થઈ હતી. ડિસેમ્બર 2007માં તેમને ત્રણ વર્ષ માટે ઉરી સેક્ટર, જમ્મુ-કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ડિસેમ્બર 2010માં સિકંદરાબાદમાં ફરજ બજાવી હતી. રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જમ્મુ-કાશ્મીરના કિરતવાડ સેક્ટરમાં આતંકવાદીઓના ગઢ સુરડવામાં અને જવાહર ટનલ એરિયામાં પણ તેમણે ફરજ બજાવી હતી. ત્યારબાદ ફરી સિકંદરાબાદમાં બે વર્ષ સેવા આપી હતી.
ઉરી સર્જિકલ સ્ટ્રાઇક સમયે તેઓ જમ્મુ-કાશ્મીર બોર્ડર પર તૈનાત હતા. તેમણે ફિરોજપુર, પંજાબમાં પણ ફરજ બજાવી હતી. તેમની છેલ્લી પોસ્ટિંગ આસામ-અરુણાચલપ્રદેશની પહાડીઓમાં ચીન બોર્ડર પર હતી.21 વર્ષની સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયા બાદ પ્રથમ આર્મી અધિકારીઓએ કંપની ખાતે વિદાય સમારંભ યોજ્યો હતો. આજે તેમના વતન રાપરમાં ભવ્ય શોભાયાત્રા અને સંગીતની સુરાવલી સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.