કોંગ્રેસે કેન્દ્રના રોજગાર મેળાને ગણાવ્યો ‘ઇવેન્ટબાઝી’, પૂછ્યું- 16 કરોડ નોકરીઓના વચનનું શું થયું?

કેન્દ્ર સરકારના રોજગાર મેળાને ‘જુમલા કિંગ’ની ઇવેન્ટ ગણાવતા કોંગ્રેસે શનિવારે પૂછ્યું કે દેશના યુવાનોને 16 કરોડ નોકરીઓ આપવાનું વચન ક્યારે પૂરું કરવામાં આવશે.

પાર્ટીના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો તેઓ સત્તામાં આવશે તો દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, જે છેલ્લા આઠ વર્ષમાં પૂરું કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રા માત્ર ચાર રાજ્યોમાંથી પસાર થઈ છે અને સરકારે એ સ્વીકારવું પડશે કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે.

કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે, હજુ તો ‘ભારત જોડો યાત્રા’ ચાર રાજ્યોમાંથી જ પસાર થઈ છે, છેવટે, રાહુલ ગાંધીએ ‘જુમલા કિંગ’ને એવું માનવા માટે મજબૂર કરી દીધા કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. ઇવેન્ટબાઝી નહીં, રોજગાર આપો.

સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાને જણાવવું જોઈએ કે તમે 16 કરોડ નોકરીઓ ક્યારે આપશો, કારણ કે તમે છેલ્લા આઠ વર્ષમાં દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને તેમણે કહ્યું કે, આ 16 કરોડ નોકરીઓ ક્યારે પૂરી પાડવામાં આવશે અને સરકારી વિભાગોમાં 30 લાખ ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે. વડાપ્રધાને દેશના યુવાનોને જવાબ આપવો પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ વડાપ્રધાનને પ્રશ્નો પૂછતી રહેશે કે વચન મુજબ નોકરીઓ ક્યારે આપવામાં આવશે. માત્ર 70 હજાર એપોઇન્ટમેન્ટ લેટર આપવાથી કામ નહીં ચાલે. દેશના યુવાનોને નોકરી જોઈએ છે. વડાપ્રધાને આનો જવાબ આપવો પડશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન આ પ્રશ્નો પૂછતા રહેશે.

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ હાલમાં જ ‘રોજગાર મેળા’ની શરૂઆત કરી છે, જે 10 લાખ લોકોની ભરતીનું અભિયાન છે. આ અંગે તેમણે કહ્યું કે, સરકાર કોવિડ-19 રોગચાળા પછી વિશ્વના ઘણા દેશોને જે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે તેને ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે.

તેમણે સરકારી નોકરીના ઇચ્છુકોમાં 75 હજાર નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પછી સંબોધન કરતાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો માટે મહત્તમ રોજગારીની તકો ઊભી કરવા તમામ મોરચે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *