
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તસ્કરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ દિવસેને દીવસે ઘરો, કારખાનાઓ તથા અન્ય જગ્યાએ ચોરી થયાના બનાવ સામે આવે છે. ત્યારે રાજકોટના એક ઘરમાં બંધ રૂમનું તેડું તોડી તસ્કરોએ હાથફેરો કરી ૧.૭૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધણી છે. વિગતો મુજબ પરાસરપાર્કમાં રહેતા અને હડાળા આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતાં ડોક્ટર પ્રવીણભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.35)એ ચોરીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના ભાઇ એક જ મકાનમાં ઉપર નીચે પરિવાર સાથે રહે છે.ગુરૂવારે રાત્રે ડો.પ્રવીણભાઇના ભાઇ કમલેશભાઇ તથા તેના પત્ની રાધિકાબેન નોકરી પર નાઇટ ડ્યૂટીમાં હતા, તેમના મકાનના બારણાને તાળું માર્યું હતું.

સવારે સાતેક વાગ્યે તબીબ પ્રવીણભાઇના પત્ની વર્ષાબેને તબીબને નિંદ્રામાંથી ઉઠાડ્યા હતા અને ઉપરના માળે આવેલા તેમના મકાનનો દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધાની જાણ કરી હતી, તબીબે પાડોશીને ફોનથી જાણ કરતા તેઓ દરવાજો ખોલી ગયા હતા.ડો.પ્રવીણભાઇ તે સાથે જ નીચેના માળે આવતા તેમના નાનાભાઇ કમલેશભાઇના મકાનનું તાળું તૂટેલું હતું, અંદર તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખની માલમતા ચોરી થઇ ગઇ હતી. હાલ પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ તેની શોધખોળ હાથ ધરી છે.