
નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નવસારી: જિલ્લામાં સતત ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક નવસારી પહોંચ્યા હતા. તેમણે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં વહેતી નદીઓના જળસ્તર, પૂરગ્રસ્ત વિસ્તારોની હાલની સ્થિતિ, બચાવ અને રાહત કામગીરી તેમજ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી માટે સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું.
