
દેશમાં એક તરફ આર્થિક ગતિવિધિઓ કોવિડ બાદ સતત વધી રહી છે ત્યારે બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની માંગ ઘટી છે. દેશમાં નવેમ્બર 2021 બાદ સપ્ટેમ્બર 2022માં ઇંધણની માંગ સૌથી નીચલા સ્તરે જોવા મળી છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની કુલ માંગમાં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, સપ્ટેમ્બર 2021ની તુલનામાં ઇંધણની માંગ 8.1 ટકા રહી હતી. શિકાગો સ્થિત પ્રાઇસ ફ્યૂચર્સ ગ્રૂપના એનાલિસ્ટ ફિલ ફ્લિને કહ્યું કે જ્યારે અમે ભારતમાં ઇંધણની માંગમાં ઘટાડા અંગે વાત કરીએ છીએ તો તેનું કારણ રિફાઇનરીઝની સીઝનલ મેન્ટેનંસ પણ છે. ઇંધણની માંગ ઘટવી એ અર્થતંત્રમાં મંદી તરફ ઇશારો કરતો નથી. ફરીથી શિયાળાની મોસ દરમિયાન માંગ જોર પકડે તેવી નિષ્ણાતો સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે.

પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના પેટ્રોલિયમ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં કુલ 17.18 મિલિયન ટન ઇંધણનો વપરાશ થયો હતો જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન 15.89 મિલિયન ટનના મુકાબલે વધુ છે. ડીઝલ-પેટ્રોલનું વેચાણ વાર્ષિક સ્તરે 13.4 ટકા વધીને 6.26 મિલિયન ટન રહ્યું હતું પરંતુ માસિક સ્તરે 1.4 ટકાથી વધારે ઘટાડો થયો હતો.

બિટુમેન, જેનો ઉપયોગ માર્ગ ઉપયોગ માટે થાય છે,ની માંગ સપ્ટેમ્બરમાં 16 ટકાથી વધુ રહી. ઘરેલુ ગેસની માંગ 3.5 ટકાના વધારા સાથે 2.45 મિલિયન ટન જોવા મળી હતી. નેફ્થા ઓઇલનું વેચાણ પણ 6.4 ટકાના ઘટાડા સાથે 1.08 મિલિયન ટન રહ્યું હતું. દેશની રિફાઇનરી કંપનીઓ યોજના બનાવી રહી છે કે વધુમાં વધુ ક્રૂડ ઓઇલની સપ્લાયના સમજૂતી નક્કી કરે અન્યથા પશ્વિમી દેશો દ્વારા રશિયા પર અને સખ્ત પ્રતિબંધોને કારણે ભવિષ્યમાં સપ્લાયમાં અવરોધ જોવા મળી શકે છે.