NAMRAH BREAKS IN 2 PIECE AT MANDVI PORT : માંડવી બંદરે ‘અલ નમરાહ’ જહાજના બે ટુકડા, જહાજનો વીમો ન હોતાં માલિકને કરોડો રૂપિયાનું નુકશાન

MANDVI PORT : ગત વર્ષે 29 ઓગસ્ટે માંડવી નજીક કાશી વિશ્વનાથ બીચ પર તણાઈ ગયેલું ‘અલ નમરાહ’ નામનું જહાજ હવે તૂટી પડ્યું છે. 11 મહિના સુધી દરિયાઈ મોજાની થપાટ સહન કર્યા બાદ બુધવારે જહાજના બે ટુકડા થતા તૂટી ગયું હતું. જહાજનો વીમો ન હોતાં માલિકને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.
રજીસ્ટ્રેશન નંબર BDI 1484 વાળા અને 2000 ટનની ક્ષમતા સાથેના જહાજના માલિક રિયાજ જબ્બાર સોઢા છે. આ જહાજ 2023માં વેરાવળ ખાતે નવું બનાવાયું હતું. પ્રથમ ટ્રીપ મુન્દ્રા પોર્ટથી શરૂ થવાની હતી. પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા જહાજને માંડવી પોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટ 2024ના અતિ ભારે વરસાદ પડતાં રૂક્માવતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. એ સમયે મરીન પોલીસ સામે એન્કર પર મુકાયેલું જહાજ બે નોટિકલ માઈલ દૂર તણાઈ ગયું હતું.
ત્યારબાદ કાશી વિશ્વનાથ બીચ પર ગ્રાઉન્ડ થયું હતું.જહાજના માલિકે મોટી રકમ ખર્ચીને જહાજ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી.
ત્યારબાદ તેમણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટગાર્ડ, અદાણી પોર્ટ અને મુખ્યમંત્રી સુધી મદદની અપીલ કરી હતી. છતાં કોઈ મદદ મળી નહોતી. હાલે ઓફ સિઝનમાં દરિયો ઉગ્ર બનતા ઉછળતા મોજાના ધક્કાથી બુધવારે જહાજ વચ્ચેથી તૂટી પડતાં તેના બે ટુકડા થઇ ગયા હતા.
MANDVI PORT : કચ્છી વહાણવટી એસોસિએશનના પ્રમુખ આદમ થૈમે જણાવ્યું હતું કે જો સમયસર રેસ્ક્યુ કરવામાં આવ્યું હોત તો જહાજ બચી શકત. આ ઘટના ગુજરાતના દરિયાઈ ઉદ્યોગ અને મેરીટાઈમ સુવિધાઓના દુર્લક્ષનો જીવંત દાખલો બની છે.