LANDSLIDE AT GANDHINAGAR : ગાંધીનગરમાં સેફ્ટી નેટ બાંધતી વખતે ભેખડ ધસી પડતા 3 દટાયા 1 નું મોત

ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે ભેખડ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા, જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે ગાંધીનગર પોલીસ કંટ્રોલના હેડ કોન્સ્ટેબલ મેહુલે સવારે 11:40 વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરી હતી, જેથી ફાયરબ્રિગેડની ટીમ બે મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં બે મજૂર ઘાયલ થયા છે. 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે. ફાયરબ્રિગેડની ટીમે બપોરે 1:10 વાગ્યે રેસ્ક્યૂ-ઓપરેશન પૂર્ણ કર્યું હતું.

સુપરવાઈઝર ચંદ્રેશે જણાવ્યું હતું કે સેફ્ટીનેટ બાંધતી વખતે આ ઘટના ઘટી હતી. ત્રણ લોકો કામ કરતા હતા. તેમાંથી બે લોકોનો બચાવ થયો છે, જ્યારે એકનું મોત થયું છે. આ ત્રણેય મજૂરો રાજસ્થાનના છે. દોઢ મહિનાથી અહીં કામ કરતા હતા.
મૃતકનું નામ : પરમાર, ઉં.વ-30 રહેવાસી ડુંગરપુર, રાજસ્થાન.
ઈજાગ્રસ્તનાં નામ : નટવર ડામોર, ઉં.વ-45 રહેવાસી ડુંગરપુર, રાજસ્થાન, ચિરાગ ડામોર, ઉં.વ-19 રહેવાસી ડુંગરપુર, રાજસ્થાન.