ગુજરાત બોર્ડનું ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું

ગુજરાત બોર્ડનું ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હોવાથી આ પેપર રદ કવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. આ મામલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલનું નિવેદન સામે આવ્યું છે.

29 માર્ચે ફરી લેવાશે પેપર
તેમણે જણાવ્યું કે, સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે 580 જેટલા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

31 માર્ચથી પેપરની ચકાસણી શરૂ થશે
નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે જણાવ્યું કે, આશરે 35 ટકા જેટલા પ્રશ્નો અલગ અભ્યાસક્રમના પૂછાયેલા છે. આગામી 31 માર્ચથી બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે. ધોરણ 10, ધોરણ 12ના આર્ટ્સ, કોર્મર્સ અને સાયન્સના 16.5 લાખ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી કરવામાં આવશે. રાજ્યના 362 ચકાસણી કેન્દ્ર પર પેપરોની ચકાસણી કરવામાં આવશે. જેમાં 61,500 જેટલા પરીક્ષકો જોડાશે.

આજ ધોરણ 12નું હિન્દીનું પેપર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ધોરણ 10નું અંગ્રેજીનું પેપર યોજાયું હતું અને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું હિન્દી પેપર યોજાવા જઈ રહ્યું છે. તો ધોરણ 12 સાયન્સનું કોમ્પ્યુટરનું પેપર છે. ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 29 માર્ચે પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *