
સંસદમાં સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી શનિવારે (25 માર્ચ) પ્રથમ વખત મીડિયા સમક્ષ હાજર થયા હતા.તેમણે કહ્યું હતું કે ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, રોજ નવા નવા દાખલા મળી રહ્યા છે. મારુ સભ્યપદ છીનવી ને મારો અવાજ બંધ નહીં કરી શકો, હું કોઈનાથી ડરતો નથી. મારા ભાષણને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યું, મને ધમકાવીને મને ચૂપ કરાવી શકશો નહીં. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ. સંસદમાં મારા વિષે ખોટું બોલવામાં આવ્યું, મેં મારી વાત મૂકી તો કોઈ જવાબ આવ્યો નહીં.
અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?: રાહુલ ગાંધી તેમણે વધુમાં કહ્યું કે, “અદાણી જીની શેલ કંપની છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, તે અદાણી જીના પૈસા નથી, આ કોઈ બીજાના પૈસા છે, સવાલ એ છે કે આ 20,000 કરોડ રૂપિયા કોના છે.અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વિગતવાર વાત કરી.આ સંબંધ નવો નથી, સંબંધ જૂનો છે. મેં તેના વિશે પ્રશ્નો પૂછ્યા હતા.”
મારો સાદો અને સિમ્પલ સવાલ મોદી સરકારથી છે, અને એ સવાલ પૂછતો રહીશ કે અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? આ લોકો મને ઓળખતા નથી, આ લોકોની ટેવ છે લોકોની ડરાવીને ચૂપ કરાવવાના, પણ હું આ લોકોથી ડરતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી પરના મારા ભાષણથી વડાપ્રધાન ડરી ગયા હતા અને મેં તેમની આંખોમાં જોયું હતું, તેથી પહેલા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે મારી સદસ્યતા છીનવી લેવામાં આવી.
2019 માં કર્ણાટકની એક રેલીમાં ‘બધા ચોરોની અટક મોદી કેમ છે’ કહેવા બદલ સુરતની એક અદાલતે રાહુલ ગાંધીને માનહાનિનો દોષી ઠેરવ્યો છે અને 2 વર્ષની સજા ફટકારી છે. જણાવી દઈએ કે કોર્ટમાંથી સજા મળ્યા બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. જો કે હાલ રાહુલ ગાંધી પાસે ઉપરની અદાલતમાં અપીલ કરવા માટેનો વિકલ્પ છે.
આ બધા વચ્ચે રાહુલ ગાંધી એ આજે બપોરે 1 વાગે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં સદસ્યતા છીનવી લેવાના નિર્ણય અંગે વાત કરી અને સરકાર પર ઘણા પ્રહાર કર્યા છે.