
15 એપ્રિલથી જંત્રીમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એ પહેલાં સરકારે ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિવિધ બેન્કો અને સંસ્થાને ફ્રેન્કિંગ મશીનોમાં 31 માર્ચે છેલ્લું રિચાર્જ કરાવવા જાણ કરી દેવાઈ છે. ઘણા વકીલોએ કહ્યું, મોટા ભાગની કો-ઓપરેટિવ સહિતની બેન્કોમાં હવે ઇ-સ્ટેમ્પિંગને પ્રોત્સાહન માટે રાતોરાત ફ્રેન્કિંગ બંધ કરવાના નિર્ણયથી જિલ્લા અને તાલુકાકક્ષાએ નાગરિકો મુશ્કેલીમાં મુકાશે.
સરકારે ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય કર્યો
રજિસ્ટર્ડ દસ્તાવેજ ઉપરાંત ભાડા કરાર, સમજૂતી કરાર, બોન્ડ, એફિડેવિટ, એમઓયુ, અન્ય કરારો સહિતના અનરજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણી માટે ફ્રેન્કિંગ કરાવવામાં આવે છે. રાજ્યમાં વર્ષે અંદાજે 3 હજાર કરોડથી વધુનું ફ્રેન્કિંગ થાય છે, જે હવે બંધ કરીને ઇ-સ્ટેમ્પિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી નિરીક્ષકની કચેરીએ જુદી જુદી બેન્કોને જાહેર જનતાના ઉપયોગ માટે સંસ્થાઓ-કંપનીઓને પોતાના ઉપયોગ માટે સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે ફ્રેન્કિંગ મશીનનો પરવાનો અપાયો છે.
લાખો રૂપિયાનાં મશીનનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાશે નહીં
આ પરવાનો ધરાવનારને દર કેલેન્ડર વર્ષ માટે પરવાનો અપાય છે અને ત્યાર બાદ એક વર્ષ માટે રિન્યુ કરાય છે. હવે 1 એપ્રિલથી પ્રીપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવા નિર્ણય કરાયો છે. બેન્કોના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું, ફ્રેન્કિંગ બંધ કરવાના નિર્ણયથી તેનાં મશીનો શોભાના ગાંઠિયા સમાન બની રહેશે. લાખો રૂપિયાનાં મશીનનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાશે નહીં.