BHUJ SWAMINARAYAN MANDIR : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નારાયણ સરોવરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ.

કચ્છના તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવની શરૂઆત વિશાળ પોથી યાત્રા સાથે કરવામાં આવી છે.

ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવન દાસજી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગત સહિત વરિષ્ઠ સંતો અને દેશ-વિદેશથી આવેલા હરિભક્તો યાત્રામાં જોડાયા છે. સભા મંડપમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે.
વ્યાસપીઠ પરથી શાસ્ત્રી સ્વામી ગોલોકવિહારીદાસજી સહિત અન્ય સંતો મન્નારાયણ તીર્થ મહિમાની કથા રજૂ કરી રહ્યા છે. સંગીત સંગાથ સ્વામી જીનંદનદાસજી અને નીલકંઠમુન્ની આપી રહ્યા છે. બીજા સત્રમાં શિવપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ ભાગ લીધો. નારાયણ, સંત અને બ્રાહ્મણ પૂજનમાં અનેક સંતો અને હરિભક્તો જોડાયા છે.

ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું કે નવનિર્મિત મંદિર સંકુલનું લોકાર્પણ 14 ઓગસ્ટે અમદાવાદ કાળુપુર મંદિરના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે થશે. આ મહોત્સવમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સંતો, સાંખ્યયોગી બહેનો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે.