
મુખ્યમંત્રીશ્રીએ દૂધ સાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરવા આપી શુભેચ્છાઓઃ રાજ્ય સરકાર સભાસદોના હિતમાં જરૂરી તમામ સહયોગ કરશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની દૂધ સાગર ડેરી, મહેસાણાની વિજેતા થયેલી પરિવર્તન પેનલના અશોકભાઇ ચૌધરી અને તેમના વિજેતા સભ્યોએ આજે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ અભિનંદન આપીને દૂધ સાગર ડેરીના લાખો સભાસદોના હિતમાં કામ કરીને દૂધ સાગરને સૌથી વધુ પ્રગતિ કરતી ડેરી બને તેવી વિજેતા સભ્યોને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ દૂધ સાગર ડેરીના ચૂંટાયેલા સભ્યોને પશુપાલકોના હિતમાં કામ કરવાનું આહવાન કરી સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.
આ પ્રસંગે વિસનગરના ધારાસભ્યશ્રી ઋષિકેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અમિતભાઇ ચૌધરી, પરિવર્તન પેનલના વિજેતા સભ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દૂધ સાગર ડેરીની યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૧૫ પૈકી ૧૩ બેઠકો ઉપર અશોકભાઈ ચૌધરીની આગેવાનીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે.