સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે 11 જાન્યુ.થી ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે

(ગાંધીનગર)

ગુજરાત સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.

ચુડાસમાએ જણાવ્યું કે, આજની કેબિનેટની બેઠકમાં શાળા -કોલેજ ખોલવા મુદે ચર્ચા થઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી, યુજી છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતનાં તમામ બોર્ડને લાગુ પડશે. તેમણ કહ્યું કે, કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે, તેથી શાળામાં સાવચેતી અને આરોગ્યની સાવચેતી રાખવી પડશે. આ ઉપરાંત સ્થાનિક પીએસસી સીએચસી સાથે સંકલન કરવું પડશે.

તેમણે કહ્યું કે, બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે અને શાળામાં વિધાર્થીને જવા માટે વાલીની સંમતિ લેવી પડશે. વિદ્યાર્થીની હાજરી શાળામાં ફરજીયાત નથી તેથી ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. વિધાર્થી અને શિક્ષકોએ માસ્ક અને એસઓપીનું પાલન કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *