JIHADI MODULE : આંધ્ર પ્રદેશ પોલીસ અને એજન્સીઓએ એક મોટા આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કર્યો

JIHADI MODULE : આંધ્ર પ્રદેશ પોલીસ અને એજન્સીઓએ એક મોટા આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કર્યો છે, જેમાં વિદેશી હેન્ડલર્સ અને આઇએસ તેમજ અલ-કાયદા (એક્યુઆઇએસ) જેવા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ કરી છે. બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનમાં આંધ્ર પ્રદેશ પોલીસે એજન્સીઓ સાથે મળીને અનેક સ્થળે દરોડા પાડયા હતા.
આંધ્ર પોલીસના આ દરોડા દરમિયાન એક ડઝનથી વધુ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ત્રણ આંધ્ર પ્રદેશના છે.

પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલાનો મુખ્ય આરોપી રહમતુલ્લાહ શરીફ છે, શરીફ અને તેના સાથીઓ ઓપરેટિવ્સના સંપર્કમાં હતા. આ ઓપરેટિવ્સ જેહાદી મનસુબા ફેલાવવા અને યુવાઓને ઓનલાઇન વીડિયોના માધ્યમથી કટ્ટરવાદી બનાવવા ઉશ્કેરવાનું કામ કરી રહ્યા હતા. તપાસકર્તાઓને એવી શંકા છે કે મહિલાઓને અન્ય એક જુથ ખવાતીનમાં સામેલ થવા માટે ઉશ્કેરવામાં આવી રહી હતી. આ જુથ મહિલાઓને આતંકવાદી બનાવવા માટે તૈયાર કરાયું છે.
JIHADI MODULE : ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ જેહાદી મોડયુલ વિદેશી આતંકી સંગઠનો જેમ કે આઇએસઆઇએસ, અલ કાયદા (એક્યુઆઇએસ)ની મદદથી ભારતમાં યુવાઓને કટ્ટરવાદી બનાવી રહ્યું હતું. આ ગુ્રપ એવી ઓનલાઇન સામગ્રીઓ, વીડિયો, તસવીરો યુવકોને મોકલી રહ્યું હતું કે જેની સીધી લિંક આ વિદેશી હેન્ડલર્સ સાથે જોડાયેલી હતી.
આરોપીઓ ઓસામા બિન લાદેન, ઇસરાર અહમદ શૈક, ઝાકિર નાઇક અને અનવર અલ અવલકીના વીડિયો મુસ્લિમ યુવકોને મોકલતા હતા અને ઓસામા જેવા આતંકીઓના રસ્તે ચાલવા કહી રહ્યા હતા. આ ગુ્રપે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા, બાંગ્લાદેશ સહિતના દેશો સુધી પોતાનું નેટવર્ક ઉભુ કર્યું હતું.
હેન્ડલર્સ કે જે આ ગુ્રપને ગેરમાર્ગે દોરી રહ્યા હતા તેમના નામ અલ-હકીમ શુકૂર, મોહમ્મદ હુફૈઝા, નીંજા, હેમરોક્સી, અબુ મુહારીબ અને અબુ બાલુશીનો સમાવેશ થાય છે. ગુ્રપને આ હેન્ડલર્સ હથિયારોની તાલિમ ખાસ કરીને સ્નાઇપર રાઇફલ્સ કેવી રીતે ચલાવાય તેની માહિતી પણ પુરી પાડી રહ્યા હતા, એટલુ જ નહીં હથિયારો પણ પુરા પાડવાની ખાતરી આપવામાં આવી હતી.
એક મહિલા આરોપી સઇદા બેગમ પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના ઓપરેટિવ્સ સાથે જોડાયેલી હતી અને જેહાદી કૃત્યો ફેલાવવાનું આયોજન કરી રહી હતી. આરોપીઓ આઇએસના ઝંડા સાથે માસ્ક લગાવીને ફોટો લઇને તેને પોસ્ટ કરતા હતા. તેઓ ભારતમાં ઇસ્લામિક સ્ટેટ સ્થાપિત કરવાના ઇરાદાથી જ આ બધા કાવતરા ઘડી રહ્યા હતા.