HEAVY RAIN IN BHARUCH : ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરદાર સરોવર ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાયુ

જીલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદને કારણે સમગ્ર જીલ્લાભરમાં માહોલ ભીનો બન્યો છે. સવારે શરૂ થયેલો વરસાદ ધીમે ધીમે મૂશળધારમાં ફેરવાતા જનજીવન ઉપર સીધી અસર થવા લાગી છે. એક તરફ સરદાર સરોવર ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ સતત વરસતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ નર્મદા નદી કિનારાના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યાપી છે.

આજે સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 2.36 ઇંચ નોંધાયો છે, જ્યારે ઝગડિયા 2 ઇંચ સાથે બીજા નંબરે છે. વાલિયા (1.30 ઇંચ), હંસોટ (1.10 ઇંચ), અંકલેશ્વર (1.65 ઇંચ) અને ભરૂચ શહેર (1.37 ઇંચ)માં પણ સારો વરસાદ વરસ્યો છે. બીજી તરફ સૌથી ઓછો વરસાદ આમોદ તાલુકામાં માત્ર 0.35 ઇંચ નોંધાયો છે.

સરદાર સરોવર ડેમમાંથી એક જ દિવસમાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા કિનારાના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વધી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી અપનાવવા તંત્રએ સૂચના આપી છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે, નર્મદા નદી કિનારે ભીડ ન કરવી, બિનજરૂરી વાહનવ્યવહાર ટાળવો અને સાવચેત રહેવું.