32 CRORE ROBBERY DRAMA : 32 કરોડના હીરા ચોરીનું માત્ર નાટક જ હતું, ફરિયાદી જ આરોપી નીકળ્યો

32 CRORE ROBBERY DRAMA : 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડી.કે.સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. જોકે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી અને ડી.કે.સન્સના માલિકે દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.
આ કેસમાં કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. ચોરી માટેનું આ એક તરકટ રચવામાં આવ્યું હતું. તેના માટે પાંચ લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે દસ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પાંચ લાખ હજુ આપવાના બાકી હતા. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો છે.

ડી.કે.સન્સ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી વરાછાના ખોડિયારનગર રોડ પરના એક મોટા હીરા વેપારી છે, જે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ચલાવે છે. તેમની કંપનીનું મુંબઈ અને વિદેશમાં પણ મોટું કામકાજ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 300 કરોડ જેટલું છે. આટલું મોટું ટર્નઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટે ભાગે સફળતા મળી હોવાનું મનાય છે.