DISEASE IN MANDVI DUE TO RAINY SEASON : માંડવીમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 2, કમળાના 40 કેસ નોંધાયા

DISEASE IN MANDVI DUE TO RAINY SEASON : માંડવીમાં વરસાદી માહોલ બાદ મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. શહેરના ધવલ નગર વિસ્તારમાં તાજેતરમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ મળતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ફોગિંગ અભિયાન હેઠળ ધવલ નગરમાં 7, એકતા નગરમાં 10 અને એવન્યુ પાર્કમાં 5 મળી 22 ઘરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે શહેરમાં ફોગિંગની જવાબદારી પાલિકાની છે, પરંતુ પાલિકાના બન્ને ફોગિંગ મશીનો બગડી ગયા છે, જેને કારણે તાલુકા હેલ્થ ઓફિસના મશીનોનો ઉપયોગ કરાયો હતો અને પાલિકા તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંયુક્તમાં કામગીરી આદરવામાં આવી હતી.
શહેરની ગલીઓમાં વરસાદના પાણી ભરાતા એડિસ મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ખાબોચિયામાં બરેલ ઓઇલ નાખીને પાલિકા અને આરોગ્ય વિભાગે રોગચાળો વધે તે પહેલા જાગૃતતા બતાવી હતી.
બીજી તરફ, શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ગયા એક મહિનામાં કમળાના 40 જેટલા કેસ નોંધાયા છે. આ લેબ રિપોર્ટના આધારે બહાર આવેલી માહિતી ચિંતાજનક કહેવાય. તાવ ઉધરસ અને શરદી જેવા વાયરલ ફીવરના દર્દીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
ડેન્ગ્યુના કેસ સપ્તાહ પહેલાના છે. તાલુકાના ઉનડોઠ ગામમાં એક શ્રમિક મેલેરિયાનો નોંધાયો છે. સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે, છતાં શહેરમાં મચ્છરજન્ય રોગો સામે વધુ સતર્કતા રાખવાની જરૂરિયાત જણાઇ રહી છે.