ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહારમાં 51 લાખ મતદારોના નામ હટાવવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેસિવ રિવીઝન (SIR) અભિયાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યભરમાં 51 લાખ મતદારોના નામ હટાવવામાં આવશે.
ચૂંટણી પંચનું કહેવું છે કે, તપાસ દરમિયાન 18 લાખ મતદારો મૃત મળી આવ્યા છે, જેના નામ મતદાર યાદીમાં સામેલ હતા. તપાસમાં 26 લાખ એવા મતદારો મળી આવ્યા છે જેઓ બિહારની બહાર અથવા અન્ય વિધાનસભા વિસ્તારમાં જઈ ચૂક્યા છે. આ સિવાય 7 લાખ લોકોએ બે જગ્યાના ચૂંટણી કાર્ડ બનાવી રાખ્યા છે જે સ્પષ્ટ રીતે નિયમોનું ઉલ્લંઘન છે. એજ કારણોથી 51 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી શકાય છે, જેથી યાદીમાં માત્ર લાયક મતદારોને જ સામેલ કરી શકાય.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 7.89 કરોડ નોંધાયેલા મતદારોમાંથી 97.30% લોકોએ અત્યાર સુધીમાં તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. આ ફોર્મ 1 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રકાશિત થનારી પ્રારંભિક મતદાર યાદીમાં સામેલ કરવા જરૂરી છે. માત્ર 2.70% મતદારોએ હજુ સુધી ફોર્મ સબમિટ કર્યા નથી. પંચે પ્રક્રિયાને પારદર્શક અને સમાવિષ્ટ બનાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા છે, જેમાં 98,500થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને 1.5 લાખ બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) સામેલ છે.