મુન્દ્રા-ભુજ રૂટ પર એક બસમાં 70થી વધુ વિદ્યાર્થીઓ ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. NSUIએ ડેપો મેનેજરને આવેદનપત્ર

મુન્દ્રાથી ભુજ સુધીના રૂટ પર વિદ્યાર્થીઓની મુસાફરી માટે પૂરતી એસટી બસની સુવિધા ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ મુન્દ્રા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.

મોટા કપાયા, પ્રગપર ચોકડી, બરાયા, કારાઘોઘા અને બોચા સહિતના ગામોમાંથી લગભગ 150થી 160 વિદ્યાર્થીઓ રોજ કેરા અને ભુજ ખાતે અભ્યાસ માટે અવર-જવર કરે છે. હાલમાં એક બસમાં 70થી 80 વિદ્યાર્થીઓને ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. બસમાં ઊભા રહેવાની પણ પૂરતી જગ્યા નથી.
NSUIએ માંગ કરી છે કે વિદ્યાર્થીઓ માટે સવારે 6:30 કલાકે મુન્દ્રાથી અને બપોરે 12:30 કલાકે ભુજથી વધારાની બસ સેવા શરૂ કરવામાં આવે. વધુમાં, તમામ બસો કચ્છ યુનિવર્સિટી ખાતે ફરજિયાત રોકાય તેવી પણ માંગ કરવામાં આવી છે.
લગભગ 100 વિદ્યાર્થીઓની સહી સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ત્રણ દિવસની અંદર વધારાની બસ સેવા શરૂ નહીં કરવામાં આવે તો NSUI વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરશે. આ રજૂઆત વખતે NSUIના ઉપપ્રમુખ નિખિલ જુવડ સહિત અનેક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.