Maharashtra News : મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, અજિત પવાર-શરદ પવાર એક સાથે આવી શકે ?

Maharashtra News : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે આવવાની અટકળો વચ્ચે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે શરદ પવાર અને અજિત પવાર એકસાથે આવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. શિવસેના-યુબીટી અને મનસે સાથે આવવા અંગે ઠાકરે ભાઈઓના નિવેદન બાદ હવે એનસીપી-એસપી ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે સ્ટેન્ડ લીધુ છે કે મરાઠીના મુદ્દે બંને રાષ્ટ્રવાદી પક્ષોએ એક સાથે આવવું જોઈએ.
નોંધનીય છે કે છેલ્લા 10-15 દિવસથી બંને પવાર વિવિધ કાર્યક્રમો માટે સાથે જોવા મળી રહ્યા છે. શરદ પવાર અને અજિત પવાર પણ સોમવારે પુણેમાં બેઠક માટે સાથે આવ્યા હતા. પુણેના સુગર કોમ્પ્લેક્સમાં એઆઈને લગતી બેઠક બાદ વસંતદાદા સુગર ઈન્સ્ટિટ્યૂટની કામગીરી અંગે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર અને VSI અધિકારીઓ હાજર છે.
Maharashtra News : જ્યારે અજિત પવારને બંને વચ્ચે ચાલી રહેલી એકતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અમારા કાર્યકરો સ્માર્ટ છે. આ રીતે ફરી એકવાર આડકતરી રીતે બંને પવારના એકસાથે આવવાના સમાચારો તરફ ઈશારો કર્યો. પવાર પરિવારમાં ખરેખર શું ચાલી રહ્યું છે?
તમને જણાવી દઈએ કે આ પહેલા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી અને MNS વચ્ચે ગઠબંધનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમણે દાવો કર્યો હતો કે બંને વચ્ચે ‘ભાવનાત્મક વાતો’ ચાલી રહી છે. સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ MNS વડા અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાન માટે કોઈ પૂર્વ શરત રાખી નથી.
Maharashtra News : સંજય રાઉતે કહ્યું, “ગઠબંધનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભાવનાત્મક વાતો ચાલી રહી છે.” રાજ્યસભાના સભ્યએ કહ્યું, “તેઓ (રાજ અને ઉદ્ધવ) પારિવારિક કાર્યક્રમોમાં મળે છે. તેઓ ભાઈઓ છે.” વાસ્તવમાં, રાજ ઠાકરેએ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને અવિભાજિત શિવસેનામાં ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી. આ નિવેદન બાદ બંને વચ્ચે સમાધાનની અટકળો શરૂ થઈ હતી.
મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર પરિવારનું એક મોટું સ્થાન છે. એક સમયે, શરદ પવાર, તેમના ભત્રીજા અજિત પવાર સાથે મળીને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ મતભેદોને કારણે, અજિત પવારે અલગ થઈને ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા. આ બધી ઘટનાઓ પછી પણ, બંને નેતાઓ વચ્ચે સમયાંતરે મુલાકાતો થતી રહી છે. આ મુલાકાત પછી, લોકોને આશા છે કે કદાચ ભવિષ્યમાં બંને વચ્ચેના મતભેદો ઓછા થશે અને તેઓ સાથે આવશે.