અમદાવાદના આ બ્રિજ પરથી પસાર થનારા ખાસ વાંચી લેજો, નહીંતર પડશે ધરમ ધક્કો

અમદાવાદના સારંગપુર બ્રિજથી પસાર થતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સારંગપુર બ્રિજ આજથી દોઢ વર્ષ માટે બંધ કરી દેવાયો છે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને આ કામ અંતર્ગત કાલુપુર અને સારંગપુર બ્રિજ નવા બનવાના છે. આ બંને બ્રિજ રેલવે સ્ટેશનને જોડતા બ્રિજ છે. આ એક આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટના ભાગરૂપે સારંગપુર બ્રિજ આજથી દોઢ વર્ષ માટે બંધ કરી કરવામાં આવ્યો છે. જૂનો બ્રિજ તોડીને નવો બ્રિજ બનવાનો છે, ત્યારે બ્રિજને પતરાં મારીને બંધ કરવામાં આવ્યો છે. સાથે જ બ્રિજના છેડે રોડ ડાયવર્ઝનના ટ્રાફિક પોલીસના જાહેરનામાના પોસ્ટર પણ મૂકવામાં આવ્યા છે. જેથી કરીને વાહનચાલકોને-સ્થાનિકોને ખ્યાલ આવશે કે તેઓ અન્ય રસ્તાનો ઉપયોગ કરીને પોતાના નિશ્ચિત સ્થળ પર જઈ શકે છે.

અમદાવાદ સારંગપુર બ્રિજ બંધ થતા સારંગપુરથી ગોમતીપુર તરફ જનારા લોકોએ વહેલા નીકળવું પડશે. સારંગપુર બ્રિજ બંધ થતાં કાલુપુર અને અનુપમ બ્રિજ રૂટ પર ટ્રાફિકમાં વધારો થશે. દિલ્હી દરવાજાથી ગોમતીપુર જનારા કાલુપુર સરસપુર થઈ ગોમતીપુર જઈ શકશે. આસ્ટોડિયાથી સારંગપુર થઈ ગોમતીપુર જનાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ અનુપમ બ્રિજથી ગોમતીપુર તરફ જઈ શકશે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામને લઈને બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો નવો બ્રિજ બનાવાશે. ત્યારે હાલ સારંગપુર બ્રિજ બંધ થતાં સ્થાનિકોની સાથે નોકરિયાત વર્ગ, ધંધાર્થીને પણ મોટી અસર થશે, તમામ માટે આ બ્રિજ મહત્ત્વનો રસ્તો છે. આ બે વિસ્તારને જોડતો બ્રિજ છે. આ બ્રિજ બંધ થતા લોકોને 500-700 મીટરનું જે અંતર હતું, જે કાપીને લોકો જતાં હતા, એ કદાચ 5-7 કિલોમીટર જેટલું અંતર વધારે કાપીને જવું પડશે.

સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિએ જણાવ્યું કે અહીંથી લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. જે લોકોને ખબર નથી, જે લોકો સ્ટેશનથી આવવા-જવાના હતા, એવા અઘ્ના લોકોને મેં જણાવ્યું કે પાછળ અનુપમ સિનેમા થઈને જવું પડશે. અથવા કાલુપુર થઈને જવું પડશે. આ બ્રિજનું અંતર 500-700 મીટરનું હતું, હવે લોકોએ મીનીમમ 5 કિલોમીટરનું અંતર કાપવું પડશે. સાથે જ આ વ્યક્તિએ એમ પણ કહ્યું કે અત્યારે થોડું નુકસાન વેઠવું પડશે, પણ પછી આનાથી ઘણો ફાયદો થશે. દબાણો દૂર થવા અંગે જણાવ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે જે દબાણો દૂર કરવામાં આવશે, એમને યોગ્ય વળતર આવે.

ટાઈમ લાઇન પ્રમાણે કામ પૂર્ણ થાય તેવી લોકોની માંગ

એક વાહનચાલકે જણાવ્યું કે આ રોજનો રસ્તો છે, પણ હવે બ્રિજ બંધ થઈ જતા 7-8 કિલોમીટરનો ફરક પડી જાય છે. કાલુપુરથી ફરીને જવું પડે છે અને એટલે ઘણું લાંબુ પડી જાય છે. નવો બ્રિજ બનશે, એ લોકો માટે ઘણી સારી બાબત છે, પણ હાલ થોડી તકલીફ રહેશે. તો અન્ય વાહનચાલકે જણાવ્યું કે બ્રિજ બનશે એ ઘણું સારું થશે, પણ જો સમયસર કામ પૂર્ણ થાય કે સમય પહેલા કામ પૂર્ણ થાય તો ઘણું સારું રહેશે. લોકોને આ અંગેનો મંતવ્ય એવો જ છે કે બ્રિજ બનશે એ સારી વાત છે, પણ બે વર્ષ માટે ખૂબ જ તકલીફ પડશે.

આ વિસ્તારના સામાજિક આગેવાન દિનેશ ઠાકોરે જણાવ્યું કે થોડા દિવસ સમસ્યા રહેશે પણ આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકોને ખૂબ લાભ થવાનો છે. કેમ કે સારંગપુરથી કાલુપુર અને પ્રેમ દરવાજા સુધી જે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, એ સમસ્યા દૂર થઈ જશે. આનાથી ખરેખર પ્રજાને ફાયદો જ થવાનો છે. થોડા સમય માટે લોકોને અવરજવરમાં તકલીફ રહેશે. ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા જાણ થશે કે બ્રિજ બંધ થવાનો છે, એટલે ઘણા લોકો આ બાજુ નહીં આવે. પણ જે લોકોને ખબર ન હોય, એ લોકો આવશે, તો એમને થોડી તકલીફ રહેવાની. સાથે જ અહીં જે દબાણો દૂર થશે કે ઘર કપાશે, સરકાર દ્વારા એમને સારું વળતર આપવામાં આવે, અને અહીં મંદિરની ટ્રસ્ટની જગ્યા પણ છે, તો એમને પણ સારું વળતર આપવામાં આવે, એવી અમારી માંગણી છે.

અમદાવાદ સારંગપુર બ્રિજ બંધ થતા હાલ વાહનચાલકોને ચોક્કસ અસર પડશે, પણ ભવિષ્યમાં આવનારી પેઢીને ખૂબ મોટો ફાયદો થશે. ખાસ કરીને રેલવે સ્ટેશન આવનાર-જનાર લોકોને સીધી કનેક્ટિવિટી પણ આ બ્રિજના માધ્યમથી મળી રહેશે. પરંતુ હાલ લોકોને હાલાકી પડી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *