અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું કે, તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધી 100થી વધુ લોકોના મોત થયા છે. જો કે, સત્તાવાર આંકડા હજી જાહેર થયા નથી. આ દુર્ઘટના ગુરૂવારે બપોરે 1.38 વાગ્યે બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું. તેઓ લોકોની સહાયતા માટે કામ કરી રહ્યા છે.
દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂ સાથે વાત કરી દુર્ઘટનાની જાણકારી આપી હતી. અમદાવાદથી ગેટવિક (બ્રિટન) જઈ રહેલી ફ્લાઈટ AI 171 ટૅકઑફની બે મિનિટમાં જ ક્રેશ થઈ હતી. વિમાનમાં બે પાયલોટ, 10 ક્રૂ સભ્યો અને 230 પેસેન્જર સવાર હતાં. નાગરિક ઉડ્ડયન મંત્રીના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, PM મોદીએ વ્યક્તિગત રૂપે નાયડૂ સાથે વાત કરી અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની જાણકારી લીધી હતી. રામમોહન નાયડૂ બચાવ તેમજ રાહત કામગીરી માટે અમદાવાદ જવા રવાના થયા હતાં.
એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાને તાત્કાલિક ધોરણે તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. તથા સ્થિતિ વિશે નિયમિત રૂપે માહિતી આપવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રીને નાયડૂ સાથે અમદાવાદ જઈ તમામ સંભવિત સહાયતા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, અમદાવાદમાં બનેલી દુ:ખદ વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. મારા વિચારો અને પ્રાર્થનાઓ પીડિતો સાથે છે. આ અવર્ણનીય દુઃખની પળમાં રાષ્ટ્ર તેમની સાથે છે.