સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી પૈકી 293 માંથી 242 શિક્ષકો હાજર થયા

-
બીજા તબક્કે એ પછીના અગ્રતાક્રમવાળા પેન્ડિંગ લીસ્ટમાંથી 51ને સમાવી લેવાશે
-
વતનમાં અનુદાનિત શાળામાં નોકરી મળતા કેટલાક પત્ર લેવા ન આવ્યા!
કચ્છ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં 293 શિક્ષકોને નોકરી અપાઈ છે. જેના નિમણૂક પત્ર ભુજ સ્થિત ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગુરુવારે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેસુભાઈ પટેલના હસ્તે અપાયા હતા. જોકે, 293માંથી 242 હાજર થયા હતા, જેથી બીજા તબક્કામાં એ પછીના અગ્રતાક્રમે રહેલા 51ને સમાવી લેવાશે. બાકી રહેશે તો જ્ઞાન સહાયકથી ઘટ પૂરી દેવાશે. એવું જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું.
ગાંધીનગર સ્થિત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ભરતી અંતર્ગત નિમણૂક પત્ર આપ્યા હતા. જોકે, સરકારી અને અનુદાનિત શાળાઓમાં એક સાથે હુકમો થયા હતા, જેથી જેમને વતનમાં અનુદાનિત શાળામાં નોકરી મળી હતી એમણે કચ્છમાં નોકરી જતી કરી હતી. નિમણૂકપત્ર વિતરીત કરવાના કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય ઉપરાંત જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વીરમભાઈ ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.
ભરતીના નોડલ અધિકારી બીપીનભાઈ વકીલ અને હેડ ક્લાર્ક કુણાલભાઈ મકવાણા અને ઓ.એસ. કમલેશભાઈ સીજુના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સંકલન કર્યું હતું. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજાએ સહયોગ આપ્યો હતો. સાંસદે વિદ્યાર્થીઓને નિષ્ઠા અને હૃદયથી શિક્ષણ આપવા અપીલ કરી હતી. ઉમેદવારોને કચ્છની વિવિધ હાઈસ્કૂલોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જિંદગીમાં શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા આવેલા શિક્ષકોમાં નોકરીના નિમણૂકપત્ર મેળવવા સમયે સેલ્ફી પોઈન્ટે આકર્ષણ જમાવ્યું હતું.

આમાંથી કચ્છીઓ કેટલા : સાંસદ, ધારાસભ્ય
કચ્છમાં જિલ્લા બહારના ઉમેદવારો નોકરી મેળવ્યા બાદ યેનકેન પ્રકારે વતનમાં બદલી કરાવી જતા હોય છે, જેથી ઘટનો મુદ્દો યથાવત રહેતો હોય છે, જેથી સાંસદ અને ધારાસભ્યે હાજર 242માંથી કચ્છના કેટલા એવો પ્રશ્ન કર્યો હતો. કચ્છના ઉમેદવારોએ હાથ ઊંચો કર્યો કરી જવાબ આપ્યો હતો. જે મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 10થી 15 ટકા હોય છે. પરંતુ, આ વખતે 40 ટકા ઉપરાંત સ્થાનિક કચ્છના ઉમેદવારો છે.
હજુ અનુદાનિતમાં 74 નિમાશે : ડી.ઈ.ઓ.એ વધુમાં જણાવ્યું હતું કે, હજુ 8મી તારીખે અનુદાનિત શાળામાં 74 ને નિમણૂક પત્ર અપાશે.
ધોરણ 9 અને 10ના 551 શિક્ષકો આવશે : ડી.ઈ.ઓ.એ કહ્યું હતું કે, પખવાડિયામાં ધોરણ 9 અને 10ના 551 ની નિમણૂક થવાની છે.