SWA SARJAN NGO SURAT : સુરતમાં ડિમોલિશન સમયે ઝૂંપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ આપતી NGOએ ખરીદેલી રૂ. 1 લાખની સ્ટેશનરી ગાયબ

SWA SARJAN NGO SURAT : સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન NGOના સંચાલકો હાલ ધર્મસંકટમાં મૂકાયા છે. કતારગામ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવા માટે NGOએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો. ઝૂંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધારકાર્ડ પણ તૈયાર કર્યાં હતાં. આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલિશન સમયે SMCએ જપ્ત કરી હતી. પરંતુ, ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો NGOના સંચાલકનો આક્ષેપ છે. તો બીજી તરફ આ બાબતે SMCના અધિકારીઓ તપાસ કરાવી લેવાનું કહી એકબીજાને ખો આપી રહ્યા છે. ત્યારે NGOને ચિંતા એ ઉપજી છે કે, જો સામાન પરત નહીં મળે તો ગરબી વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે? NGOએ માગ કરી છે કે, SMC તેઓનો જપ્ત કરેલો સામાન પરત કરે અથવા પૈસા આપે. સ્વસર્જન NGO સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે. તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ NGO દ્વારા કરવામાં આવી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં રહેતા NGOના સંચાલકો દ્વારા અહીં પણ પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા. આવી રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ NGO દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ગેરકાયદેસર દબાણ કરેલાં ઝૂંપડાં સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી. એ દરમિયાન આ NGOદ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન્ય એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાઈ આવે છે.

SWA SARJAN NGO SURAT : સ્વસર્જન NGOના સંચાલક માનસી સોજીત્રાએ જણાવ્યું હતું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ. ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે. પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો. હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ, પેન્સિલ, નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી હતી. જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી જ એની સ્થાનિક લોકોએ જાણ કરતા અમે ઝોન ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો. પરંતુ કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે.

SWA SARJAN NGO SURAT : ત્યારબાદ જ્યારે ફરીથી અમે ત્યાં મેડમને મળવા માટે પહોંચ્યા ત્યારે અમારો સામાન ઝોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો. ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા તેમને અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો. અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે. પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને અમને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી. ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલબેગ સહિતની અનેક ચીજ વસ્તુઓ હતી તે હવે તેમને પરત કોણ આપશે એટલું જ નહીં પરંતુ અમે એફિડેવિટ કરીને આ બાળકોના આધારકાર્ડ પણ કરાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા હતા તે પણ ચોરાઈ ગયા છે.

SWA SARJAN NGO SURAT : દીપક પાટીલ નામના અધિકારી સાથે સંપર્ક કરીને સ્ટેશનરીના સામાન અંગે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, એ અંગે મને કોઈ જાણ નથી. અમારા કતારગામ ઝોનમાં તમે જઈને તપાસ કરો અને ત્યાં પૂછો ત્યાં ડેપ્યુટી ઇજનેર ગિરીશ ચાંપાનેરિયા અધિકારી છે. જેમને આ અંગે સમગ્ર માહિતી હશે. ગિરીશ ચાંપાનેરિયા 10 થી 15 વખત સતત ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન રિસીવ કર્યા ન હતા. ત્યારબાદ કતારગામ કાર્યપાલક ઇજનેર કામિની દોશીને ફોન કરતા તેમણે જણાવ્યું કે, જો સામાન ખુલ્લામાં પડ્યો હોય તો વરસાદના કારણે ખરાબ ન થઈ જાય તેના માટે ઝોન ઓફિસ પર ખસેડી દેતા હોય છે. જેથી કરીને તે સુરક્ષિત રહે. ઝોનમાં એમનો સામાન ક્યાં પડ્યો છે તેની હું તપાસ કરાવું છું.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો